Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું

આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ફલશ્રુતિ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને દેશના ૪૦૦ વર્ષના ઇતિહાસને ઉજાગર કરતો દેશનો સૌથી પહેલો પેટ્રોલ પંપ- સરદાર પેટ્રો સ્ટેશન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એસ.પી. રિંગરોડ પર બાકરોલ નજીક આવેલા સરદાર પેટ્રો સ્ટેશન પરિસરમાં નિર્મિત ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ભારતને આઝાદી અપાવનારા વીર સેનાનીઓના સંઘર્ષ અને ભારતના ૪૦૦ વર્ષ જુના ઇતિહાસને ઉજાગર કરતું આ મ્યુઝિયમ અમદાવાદનું આગવું નજરાણું બની રહેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના લડવૈયાઓના યોગદાનને ઉજાગર કરવા, તથા નવી પેઢીને તેનું સ્મરણ રહે તે માટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની પ્રેરણા આપી છે.

ઇન્ડીયન ઓઇલ કંપનીએ દેશભરમાં આવેલા ૭૫ જેટલા પેટ્રોલ પંપ પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું, જેની ફલશ્રુતિરૂપે સરદાર પેટ્રો સ્ટેશન ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમના નિર્માણ માટે પસંદગી પામ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીમાં આ પેટ્રો સ્ટેશન પ્રથમ ક્રમે આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમની મુલાકાત લઈને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલી માહિતી અને વસ્તુઓ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.     મુખ્યમંત્રીશ્રીએ ઇન્ડીયન ઓઇલ કંપનીને પણ આ મ્યુઝિયમના નિર્માણ માટે અભિનંદન પાઠવ્યા હતા.

પેટ્રોલ પંપ પરિસરમાં બનેલું આ મ્યુઝિયમ અનોખું છે. આ ભારતનું પહેલું એવું પેટ્રો સ્ટેશન છે કે જ્યાં મ્યુઝિયમ થકી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હોય. અત્યાધુનિક લાઈટ અને સેટઅપ સાથે અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ સહિતના રાષ્ટ્રનાયકોની યશગાથા વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત ભારતના પ્રાચીન શાસકોથી લઈને તમામ વડાપ્રધાશ્રીઓની તસવીરો અને યાદી મુકાઈ છે.

ભારતે કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પેટ્રોલિયમ ક્ષેત્રે કરેલી પ્રગતિ વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત આઝાદીની લડાઈમાં મહિલાઓના યોગદાનને પણ વણી લેવામાં આવ્યું છે. સાથોસાથ અહીં રાજાશાહી વખતનું ચલણી નાણું પ્રદર્શિત કરાયું છે.

મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસ્વામી સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.