Western Times News

Gujarati News

પ્રસૂતિ પીડા વખતે બે મહિલાઓને જુદી-જુદી હોસ્પિટલોએ સારવાર આપવાનો ઈનકાર કર્યો

અમદાવાદ, આણંદ અને અમદાવાદની બે હોસ્પિટલો સામે બેદરકારી દાખવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેની તપાસ માટે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે નિવૃત્ત હાઈકોર્ટ જજના વડપણ હેઠળ સમિતિનું ગઠન કર્યું છે.

આણંદ જિલ્લામાં ગરીબ મહિલા ફી ચૂકવવા માટે અસક્ષમ હોવાથી મેડિકલ ઈમર્જન્સી છતાં તેને સારવાર આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં કથિત રીતે સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મિસકેરેજ થયું હોવાનો આરોપ છે. પૂર્વ જસ્ટિસ હર્ષા દેવાણીના વડપણ હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે.

IAS ઓફિસર રેમ્યા મોહન (નેશનલ હેલ્થ મિશનના મેમ્બર ડાયરેક્ટર), અમદાવાદના પોલીસ ઝોન-૧ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ IPS લાવણ્યા સિંહની સમિતિના સભ્યો તરીકે વરણી કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે આ સમિતિને બંને ઘટનાઓની તપાસ કરીને આઠ અઠવાડિયામાં સીલ બંધ કવરમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હાઈકોર્ટે સમિતિને એવો પણ આદેશ કર્યો છે કે, પ્રસૂતિ પીડામાં રહેલી મહિલાઓને ઈમર્જન્સી દરમિયાન સારવાર માટે મનાઈ ના કરવામાં આવે તેવા સૂચનો આપે. જેથી રાજયના સત્તાધીશો દ્વારા તેને અમલમાં મૂકી શકે.

ઉપરાંત આ સમિતિને સંપૂર્ણ સહકાર આપવાનો આદેશ કોર્ટે રાજ્ય સરકારને કર્યો છે. તેમજ સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાને આ કેસમાં કોર્ટને જાણકારી આપતા રહેવાનું કામ સોંપ્યું છે.

પિટિશનર નિકુંજ મેવાડાએ એડવોકેટ રંજન પટેલ દ્વારા જાહેરહિતની અરજી કરાવી હતી, જેમાં યોગ્ય મેડિકલ સારવાર ના અપાઈ હોય તેવી બે ઘટનાઓનો ઉલ્લેખ હતો. જે બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. હવે ઘટના વિશે જણાવી દઈએ. ૧૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ એક ગરીબ મહિલાને તારાપુરમાં આવેલા ડૉ. રામકૃષ્ણ મિરાણીના નર્સિંગ હોમની બહાર બાળકને જન્મ આપવો પડ્યો.

કથિત રીતે મહિલા સારવારના ૪૨,૦૦૦ રૂપિયા ચૂકવી શકવા સક્ષમ ના હોવાથી હોસ્પિટલે તેને દાખલ કરવાની ના પાડી હતી. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલના પરિસરમાં સ્ટાફની બેદરકારીના લીધે મહિલાનું મિસકેરેજ થયું હોવાનો આરોપ છે.

પ્રસૂતિ પીડામાં રહેલી મહિલાને ઈમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્‌નારા નિયમો અને યોજના બનાવવામાં આવે તેવી માગ જાહેરહિતની અરજીમાં કરવામાં આવી છે. તારાપુરના ડૉક્ટરે પોતાનો બચાવ કરતાં દાવો કર્યો કે, એ ચોક્કસ દિવસે તેની તબિયત સારી નહોતી.

આ તરફ એલ.જી. હોસ્પિટલે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું કે, દર્દી તબીબી સલાહનું ઉલ્લંઘન કરીને હોસ્પિટલમાંથી જઈ રહી હતી અને તેણે કેમ્પસમાંથી પસાર થવા દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. હાઈકોર્ટે આ સ્પષ્ટીકરણની ટીકા કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.