Western Times News

Gujarati News

ટુ વ્હીલરના વેચાણ બિલમાં આ માહિતી નહીં હોય તો કલમ 188 મુજબ ફરિયાદ થઈ શકે છે

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરમાં સાયકલ-સ્કુટર વેચાણ અંગે શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું

ભૂતકાળમાં જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં થતી હોય તેવા સ્થળો જેવા કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પર્યટન સ્થળો વગેરે જગ્યાઓ પર સાયકલ, મોટર સાયકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ થકી ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવેલ છે.

ભવિષ્યમાં પણ આવી ઘટનાઓની શકયતા નકારી શકાય નહીં. આથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ નીચે મુજબનો હુકમ કરૂ છું:

અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સાયકલ વેચનાર તેમજ બેટરીથી ચાલતા સ્કુટર વેચનાર દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જ્યારે આવા સાયકલ સ્કુટર વેચવામાં આવે ત્યારે તેઓએ નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવું :

(૧) સાયકલ સ્કુટર ખરીદનારને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળ પ્રત કબજામાં રાખવી,

(૨) વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખ પત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, કોઈપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક વૈધ (valid) પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવી સાયકલ બેટરીથી ચાલતા સ્કુટર વેચાણ કરનારે મેળવવાનો રહેશે.

(૩) બિલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર લખવો.

(૪) વેચાણ બિલમાં સાયકલ/સ્કુટરનો ફ્રેમ નંબર/ચેચીસ નંબર અવશ્ય લખવો.

આ હુકમ તા.૦૩/૦૩/૨૦૨૩ના કલાક ૦૦/૦૦થી તા.૦૧/૦૫/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ સુધી દિન-૬૦ માટે અમલમાં રહેશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા ખાસ /સંયુક્ત અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સપેકટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય દંડ સહીતાની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.