દરેક નાગરિકને સરકારનાં કાર્યાે પર ટિપ્પણી કરવાનો, પ્રશંસા કરવાનો અને ટીકા કરવાનો અધિકાર છે
પૂણે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
સરકાર કે મુખ્યમંત્રીની ટીકાને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડયાનું ગણી શકાય નહીં
પુણે, સરકાર કે મુખ્યમંત્રીની ટીકાને રાષ્ટ્ર સામે યુદ્ધ છેડયાનું ગણી શકાય નહીં. દરેક નાગરિકને સરકારનાં કાર્યાે પર ટિપ્પણી કરવાનો, પ્રશંસા કરવાનો અને ટીકા કરવાનો અધિકાર છે એમ પુણેની એક કોર્ટે એનસીપી એસપીના એક પદાધિકારીને જામીન આપતાં જણાવ્યું હતું.આ વર્ષે એપ્રિલમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતા કરવા અને નક્સલવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી સામગ્રી પોસ્ટ કરવાના આરોપસર શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના સોશિયલ મીડિયા વિંગના રાજ્ય સ્તરના વડા, બાલગુડેની ધરપકડ કરવામાં આવી હતી.
અન્ય કલમો ઉપરાંત, બાલગુડે પર ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૧૫૨ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાણી જોઈને અથવા હેતુપૂર્વક જોખમમાં મૂકવા સાથે સંબંધિત છે.એડિશનલ સેશન્સ જજ બી ડી કુલકર્ણીએ નોંધ્યું હતું કે કેસ પેપર્સ દર્શાવે છે કે અરજદારે અમુક કેસોમાં તપાસ પ્રક્રિયા અને સરકારી યોજનાઓની કામગીરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે જાહેર ચર્ચાના ક્ષેત્રમાં આવે છે.રેકોર્ડ પર એવું કંઈ સૂચવતું નથી કે આરોપીએ રાજ્ય સામે યુદ્ધની ઘોષણા કરી હોય અથવા તેને ઉશ્કેર્યું હોય અથવા ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતું કોઈ કૃત્ય કર્યું હોય.
આ કેસમાં બીએનએસ કલમ ૧૫૨ની લાગુ પડે કે નહીં એ બાબત ચર્ચાપાત્ર છે, અને આરોપીઓ સામે દાખલ કરાયેલા બાકીના ગુનાઓ જામીનપાત્ર હતા.જામીન મંજૂર કરતા કોર્ટે બાલગુડેને એક કે બે જામીનદારો સાથે ૨૫,૦૦૦ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે તેમને પુરાવા સાથે છેડછાડ ન કરવા કે સાક્ષીઓને પ્રભાવિત ન કરવા, તપાસ અધિકારીને પોતાનું રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર આપવા અને કોર્ટની પૂર્વ પરવાનગી વિના દેશ છોડવા નહીં તે પણ નિર્દેશ આપ્યો હતો.
