Western Times News

Gujarati News

એર ઇન્ડિયા અડધા દેવાને માફ કરવા સરકાર ઇચ્છુક છે

પ્રતિકાત્મક

નવી દિલ્હી, નાણાંકીય રીતે સંકટનો સામનો કરી રહેલી એર ઇન્ડિયાને કેટલાક અંશે રાહત આપવા માટેની યોજના અને રણનિતી સરકારે તૈયાર કરી લીધી છે. જેના ભાગરૂપે હાલમાં એર ઇન્ડિયાના અડધા દેવાને માફ કરવા માટે કેન્દ્ર સરકાર ઇચ્છુક દેખાઇ રહી છે. સરકારી વિમાની કંપની એર ઇન્ડિયાને ખરીદી લેવા માટે ખરીદારોને આકર્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. મામલા અંગે માહિતી ધરાવનાર લોકોનુ કહેવુ છે કે એર ઇન્ડિયા પર હાલમાં આશરે ૫૫ હજાર કરોડ રૂપિયાનુ દેવુ છે. બ્લુમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા ખાસ યોજના તૈયાર કરવામા આવી છે. સરકારે યોજના તૈયાર કરી છે કે રોકાણકારોને કંપનીના ૩૦૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પોતાના માથે લેવા માટે કહેનાર છે.

સરકારી કંપનીને વેચવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ૧૫મી ડિસેમ્બર સુધી જારી કરવા કહેવામાં આવ્યુ છે. ગયા વર્ષે કંપની માટે યોગ્ય ખરીદારને શોધી કાઢવામાં એર ઇન્ડિયાને સફળતા મળી ન હતી. મોદી સરકાર ટેક્સ કલેક્શનમાં આવેલા ઘટાડાના કારણે પણ હાલમાં પરેશાન છે. સાથે સાથે ૨૦ અબજ ડોલરના કોર્પોરેટ ટેક્સમાં કાપના કારણે રાજકોશીય ખાદ્યમાં વધારો થયો છે. ગયા સપ્તાહમાં કેન્દ્ર સરકારે દેશની બીજી સૌથી મોટી સરકારી રિફાઇનરી કંપની તેમજ પોતાની સૌથી મોટી શિપિંગ કંપનીને વેચી દેવાનો નિર્ણય પણ કર્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી એર ઇન્ડિયા ભારે નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. વિતેલા વર્ષોમાં તેને કટોકટીમાંથી દુર કરવા અને તેની સ્થિતિને સુધારી દેવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે છતાં તેની સ્થિતિ ખરાબ રહી છે. આના માટે પણ કેટલાક કારણો આપવામાં આવી રહ્યા છે.એર ઇન્ડિયાનુ ખાનગીકરણ નહીં થાય તો વેચી દેવુ પડશે તેવી વાત પણ આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.