Western Times News

Gujarati News

ધોરણ-૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો

અમદાવાદ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટેની ઉંમર ફરજિયાત છ વર્ષ કરી દેવામાં આવી છે અને તેની અસર આ વર્ષના એડમિશન પર જાેવા મળી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પહેલા ધોરણમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે.

દર વર્ષે ૧૦-૧૧ લાખની સામાન્ય સંખ્યાની સામે આ વર્ષે માત્ર ૩ લાખ વિદ્યાર્થીઓને જ પહેલા ધોરણ પ્રવેશ આપવામાં આવ્યો છે. એક્ટપર્ટે જણાવ્યું હતું કે, આ આગળ વધશે અને ૨૦૩૩માં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ તે જ પ્રમાણમાં ઘટાડો થશે. તેની અસર ધોરણ ૧૨ અને કોલેજના પ્રવેશ પર ચાલુ રહેશે.

રાજ્ય સરકારે ધોરણ ૧ના પ્રવેશ માટે વય અંગે નવા માપદંડો અમલમાં મૂક્યા છે, જેમાં બાળકોને અગાઉની જેમ પાંચ વર્ષની છગ્યાએ પહેલી જૂનના રોજ ઓછામાં ઓછું છ વર્ષ હોવું જાેઈએ. જેઓ વય માપદંડને પૂરા કરતાં નથી તેવા બાળકોને પ્રવેશ આપવા માટે સરકારે બાલ-વાટિકાની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જૂના નિયમ પ્રમાણે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી શકે નહીં.

શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે જણાવ્યું હતું કે, ‘સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ અને ખાનગી સ્કૂલોમાં, પહેલા ધોરણમાં નવા એડમિશનની સંખ્યા ૨.૭૫ લાખથી ૩ લાખની વચ્ચે છે. જ્યારે આશરે ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે’. રાવે ઉમેર્યું હતું કે, આ વર્ષે ધોરણ ૧માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાથી ટીચિંગ અને બિનટીચિંગ સ્ટાફના કર્મચારીઓની નોકરીઓ પ્રભાવિત ન થાય તેની ખાતરી કરવા માટેની સૂચના જિલ્લા-સ્તરના અધિકારીઓને આપી હતી.

અગાઉ, આ અઠવાડિયે ૧૬ જૂન સુધીમાં છ વર્ષના થતાં હોય તેવા બાળકોના એડમિશન માટે એક અસોસિએશને ૧૪ દિવસના ગ્રેસ-પીરિયડની માગણી કરી હતી. આ અસોસિએશને રાજ્ય સરકારે અગાઉ વય માપદંડમાં ફેરફાર કર્યો હતો તે ર્નિણયને ટાંક્યો હતો, જેમાં ૧૪ દિવસનો ગ્રેસ-પીરિયડ આપવામાં આવ્યો હતો જેથી જે બાળકોને વયના નવા માપદંડ માટે થોડા દિવસ બાકી રહી જતા હોય તેમને પ્રવેશ આપી શકાય.

દશકાઓ પહેલા, જ્યારે પહેલી ઓગસ્ટના રોજ ધોરણ ૧ માટેની વય મર્યાદા ૫ વર્ષ સુધીની નક્કી કરવામાં આવી હતી, ત્યારે સરકારે ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ૫ વર્ષના થતાં હોય તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની મંજૂરી આપી હતી. આ જ રીતે, રાજ્ય સરકારે આ વખતે પણ ૧૪ દિવસના ગ્રેસ-પીરિયડને મંજૂરી આપવી જાેઈએ તેમ અસોસિએશનનું કહેવું હતું. આ વન-ટાઈમ માપદંડ હોવો જાેઈએ તેમ અસોસિએશને ઉમેર્યું હતું.

જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ગત વર્ષે જ બધી સ્કૂલોને વયમર્યાદા અંગેના પરિપત્ર મોકલી આપ્યા હતા અને નિયમની અમલવારી ૨૦૨૩ના શૈક્ષણિક સત્રથી થશે તેમ કહ્યું હતું. જેમાં પહેલી જૂન સુધીમાં જે બાળકોની ઉંમર છ વર્ષ પૂરી થતી હોય તેમને જ એડમિશન આપવા માટે કહ્યું હતું. આ સિવાય એક દિવસ પણ ખૂટતો હોય તેવા બાળકોને પણ એડમિશન ન આપવામાં આવે તે વાતનું ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું. અગાઉ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ૨૦૨૦માં જ શિક્ષણ વિભાગે આદેશ આપીને વય મર્યાદા અંગે સ્કૂલોને જાણકારી આપી હતી. પરંતુ સ્કૂલો અને વાલીઓને તૈયારીનો સમય આપવા માટે એ વખતે અમલવારી કરવામાં નહોતી આવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.