Western Times News

Gujarati News

ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અમદાવાદની નગરચર્યાએ નિકળ્યા

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં પહીંદ વિધિ કરી  રથને નગર ચર્યા પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર  પટેલ

ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી  પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું.

મુખ્યમંત્રીને સતત બીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. Gujarat CM performs ‘Pahind Vidhi’, flags off 145th Rath Yatra of Lord Jagannath in Ahmedabad

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રીશ્રી  ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.

આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૬મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે બીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે.

 

મુખ્યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને  નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને  શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત હરહંમેશ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી  પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે.

આ અવસરે મહંતશ્રી દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટભાઈ પરમાર તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.