Western Times News

Gujarati News

ગુજરાત અને માલદીવ વચ્ચેના સંબંધો મજબૂત થશેઃ વિજય રૂપાણી

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. માલદીવમાં 87 સદસ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસદ પીપલ્સ મજલીસના આ ઓલ પાર્ટી ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજ્યના સામુદ્રિક વેપાર વણજ, ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આ પ્રતિનિધિમંડળને ગાંધી-સરદાર-નરેન્દ્ર મોદીની ધરતી પર ઉષ્માપૂર્ણ આવકાર આપતાં કહ્યું કે, ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ-ગુજરાત બેયના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે. વિજયરૂપાણીએ 1600 કિ.મી. લાંબો સમૂદ્ર કિનારો ધરાવતા ગુજરાતના બંદરો ભારતની સામૂદ્રિક વેપાર પ્રવૃત્તિના પ્રવેશદ્વાર બન્યા છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, શિપિંગ અને ફિશીંગ ઇન્ડસ્ટ્રીમાં માલદીવ-ગુજરાત વચ્ચે વિકાસની વિપૂલ સંભાવનાઓ રહેલી છે.

માલદીવ સંસદના અધ્યક્ષ મોહમદ નશીદે પણ ગુજરાત સાથે 17મી 18મી સદીથી માલદીવના સામૂદ્રિક વેપાર વણજ સંબંધો છે તેમજ અન્ય દેશોમાંથી માલદીવના પ્રવાસે આવનારી સૌ પ્રથમ ગુજરાતી કોમ્યુનિટી હતી તેની યાદ તાજી કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતથી ફારઇસ્ટના દેશોમાં મોકલવામાં આવતી ચીજવસ્તુઓ-વેપાર વણજ બહુધા માલદીવના સમુદ્ર માર્ગે થઇને જ જાય છે. આ સંદર્ભમાં માલદીવ સંસદના અધ્યક્ષે માલદીવ ભારત ગુજરાત વચ્ચે દરિયાઇ માલવહન યાતાયાતના સંયોજનની દિશામાં ભારત સરકાર-ગુજરાત સરકાર બેય સકારાત્મક રીતે વિચારે તેવો અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ પણ આ વિષયે વધુ અભ્યાસ કરીને ભારત સરકાર સાથે પરામર્શ કરવાની ધરપત આપી હતી.

આ મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ મનોજકુમાર દાસ તથા સચિવ અશ્વિનીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મોહમ્મદ નશીદને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ શુભેચ્છા રૂપે અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.