Western Times News

Gujarati News

ખોડલધામ તેના સભ્યો માટે એડવાન્સ લેવલ એપ્લીકેશન લોન્ચ કરશે

ખોડલધામનાં આંગણે રૂડો અવસર -30 સપ્ટેમ્બરે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાશે

નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીનું આયોજન ખોડલધામ મંદિરે શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ

રાજકોટ: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS”નો રૂડો અવસર યોજાશે. સમગ્ર વિશ્વમાં લેઉવા પટેલ સમાજને એક તાંતણે બાંધનાર

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં પ્રણેતા અને સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને તા. 30 સપ્ટેમ્બર ને શનિવારનાં રોજ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન શ્રી નરેશભાઈ પટેલનાં હસ્તે લોન્ચ થશે.

જેમાં ગુજરાતનાં કોઈપણ ખૂણેથી KDVS સાથે જોડાયેલ દરેક સભ્યો એપ્લીકેશન મારફતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તથા મહત્વના સંપર્ક સાધી શકશે.

શ્રી ખોડલધામ મંદિર ખાતે બિરાજમાન મા ખોડલનાં દર્શન કરવા હાલમાં સમગ્ર વિશ્વમાંથી સર્વ સમાજના ભક્તો આવી રહ્યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ અવનવા સમાજ ઉપયોગી કાર્યક્રમોની હારમાળાઓ સર્જી રહ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની અલગ-અલગ પાંખ દ્વારા સમાજના વિકાસ માટેનાં આયોજનો કરવામાં આવે છે. શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ પણ એમાંની એક મહત્વની પાંખ છે.

શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આજના જમાનામાં ખુબ અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રધ્યાન્ય આપવામાં આવે છે અને સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે.

જેના થાકી આજદિન સુધી ૪૭૫થી વધારે ઉમેદવારો સરકારી નોકરી અંતર્ગતની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરીને હાલમાં સરકારી નોકરીનાં સ્વપ્નને સેવવામાં સફળ થયા છે. આજે આ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ એટલી વિશાળ બની રહી છે કે, તેમનું સંગઠન ગુજરાત ફલક પર દિન-પ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં નેજા હેઠળ અને શ્રી નરેશભાઈ પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કરીને હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થઈને વિવિધ સેવાકાર્ય કરે છે. ત્યારે KDVS કન્વીનર મીટ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રનાં દરેક ગામે-ગામથી અને ગુજરાતભરમાંથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતની ટીમ હાજરી આપશે.

આ કન્વીનર મીટમાં આગામી સમયમાં સમાજ ઉપયોગી વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવશે. જેમાં સરકારી નોકરી તથા પોલીસ,પ્રેસ અને પોલિટિક્સ એમ 3P થીયરી અંતર્ગત સમાજના વધુમાં વધુ યુવાઓનું ભાવી ઉજ્જવળ થાય તે અંગેનાં આયોજનો કરવામાં આવશે. તેમજ આ મીટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીઓના હસ્તે નવનિયુક્ત કન્વીનરો સહિતનાઓને સન્માનિત કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને ટ્રસ્ટનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ હાજરી આપશે તથા અતિથિ વિશેષ તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- સોમનાથ તથા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીશ્રીઓ હાજર રહેશે. આ તકે સમગ્ર ગુજરાતમાંથી KDVSનાં ૮૦૦ થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.