Western Times News

Gujarati News

તેજસ્વિની, સહનશીલ અને કરૂણ્યમૂર્તિ માતેશ્વરી જગદંબા સરસ્વતિજી

આદર્શ નારીને સુંદરતાની મૂર્તિ અને પૂજનીયા નારાયણીને ઉચ્ચ સ્થાને બેસાડી, અર્વાચીન સાહિત્યકારોએ તેનું નતમસ્તકે પૂજન કર્યું. ચિત્રકારોએ તેને ચિત્રમાં ઉતારી, અર્વાચીન સાહિત્યકારોની કલમ અને વાણી તેમની મહત્તાની ગાથા ગાતાં થાકી નથી. સરસ્વતીચંદ્રની સ્નેહમૂર્તિ કુસુમ, દર્શાક્ની સાધવી રોહિણી, આત્મપ્રેમને ઓળખી પુરુષને સન્માર્ગે દોરતી નાન્હાલાલની જયા, શરદબાબુની વિજયા, પન્નાલાલની રાજયણ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયની પ્રથમ મુખ્ય સંચાલિકા તેજસ્વિની, સહનશીલ અને કારૂણ્યમૂર્તિ માતેશ્વરી જગદંબા સરસ્વતીજી. આ બધાં સ્ત્રી પાત્રો ખરેખર લૌકિક સૃષ્ટિમાં પણ અલૌકિક બની રહ્યાં છે.

‘મા’ શબ્દ કેટલો મધુર છે. ‘મા’ શબ્દ બોલતાં જાણે હૈયું અને મુખ પ્રફુલ્લિત થઈ જાય છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ એવી અજોડ જનનીનું રેખાચિત્ર આપવું એ તો બહુ મુશ્કેલભર્યુ છે. આર્યનારીનું જીવન એટલે વાત્સલ્ય, સેવા, ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય.

ખરેખર, પ્રેમની સાક્ષાત્ પ્રતિમા-મા જગદંબા સરસ્વતીનું રેખાચિત્ર શબ્દો વડે રજૂ કરૂ છું. તેનાથી તમારી સમક્ષ તે સૂક્ષ્મરૂપે રજૂ થશે. રંગે ઉજળી દૂધ જેવી, આંખો તેજસ્વી, કપાળ ચમકીલું, હંમેશા પ્રફુલ્લિત અને સ્ફુર્તિમય દેખાય જાણે પવિત્રતાનું પ્રતિક ગુલાબ જ સમજો.

મમતાની પ્રતીતિ કરાવતા જગદંબા સરસ્વતીનો જન્મ સાધારણ કુટુંબમાં થયો હોવા છતાં પોતાની દૈવી યોગ્યતાઓના કારણોસર  એમણે જગતમાતાનું પદ પ્રાપ્ત કર્યુ હતું. ફક્ત ૧૮ વર્ષની નાની વયે જ બ્રહ્માકુમારી વિધાલયના દૈવી પરિવારને પોતાના જીવનનું સમર્પણ કર્યું હતું. તેમનો માતૃભાવ એટલો ઉચ્ચકક્ષાનો હતો કે દૈવી અલૌકિક ઉપરાંત લૌકિક પરિવાર પણ એમને માતાના જેવો આદર આપતા. એમનું સ્નેહાળ હાસ્ય, મમતાળું સ્વભાવ અને માયાળુ વર્તન, શ્રેષ્ઠ જીવન માટેની કઠોર સાધનામાં પણ બધાના જીવનમાં અમૃત છાંટણાં કરતું. દરેક વ્યક્તિ માની જેમ તેમનામાં વિશ્વાસ મૂકી પોતાના મનની મુંઝવણો નિર્ભયતાથી તેમની સમક્ષ રજૂ કરી શકતી હતી.

બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયના સંસ્થાપક પ્રજાપિતા બ્રહ્માબાપ પાસેથી એમણે સરસ્વતીની જેમ સર્વજ્ઞાન ધારણ કરવાની અદભૂત ક્ષમતા દાખવી હતી. જીવનમાં કદીયે એમણે એક ભૂલ બીજી વખત કરી નથી. વીણા સંગાથે એ પોતાના મધુર અવાજે ગાતાં ત્યારે સાક્ષાત્ વીણાવાદીનીનો જ સાક્ષાત્કાર થતો.

‘મા’નું જીવન ખૂબજ સાદું. સાદું ખાવું, સાદું પીવું, સાદું પહેરવું અને સાદું જીવન -એજ એમનું જીવનસૂત્ર. પવિત્રતાના પ્રખર હિમાયતી ‘મા’ એ દિવ્ય ધારણાઓને કારણે પ્રભુપિતાને સાચી રીતે ઓળખ્યા. પરમાત્માને સમર્પિત થવામાં એમણે ક્ષણનો પણ વિલંબ નહોતો કર્યો.

      જગદંબા સરસ્વતી જીવન- વ્યવહારની કેળવણીને વધુ મહત્વ આપતા. આદર્શ વ્યવહાર અને શુધ્ધ ચારિત્ર્ય વડે જ એ બીજાઓને કેળવણી આપતાં, વિશ્વ- કલ્યાણ માટેની સાચી સેવા કેમ થઈ શકે તેના તેઓ જીવંત ઉદાહરણ હતાં.

‘મા’ સરસ્વતી અમૃતવેલે અઢી વાગે ઉઠતા. પ્રભુ સાથે ગાઢ સંબંધની અનુભૂતિમાં લવલીન થવાનો તો તેમનો નિત્યક્રમ બની ગયો હતો. સ્પષ્ટતાથી દરેક મુદ્દાઓની છણાવટ કરતી ગંગાજળ સમાન નિર્મળવાણી એ એમના વ્યક્તિત્વની વિશિષ્ટતા હતી. પ્રભુ પરાયણ જીવન જીવવા અને જ્ઞાનમાર્ગે પોતાની સાથે અન્યોને પણ લઈ જવા જીવનભર સતત તેઓ પ્રયત્નશીલ રહ્યાં હતાં. સ્નેહ, મમતા, ઉત્સાહ, કર્તવ્ય પરાયણતા અને સદ્દભાવનાની પવિત્ર મંગલમૂર્તિ મા જગદંબા સરસ્વતીજીએ તા.૨૪, જૂન ૧૯૬૫ના દિવસે ૪૫ વર્ષની નાની ઉંમરે જ અવ્યક્ત સ્થિતિ પ્રાપ્ત કરી પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કર્યો.

બ્રહ્માકુમારી વિધ્યાલયનો દૈવી પરિવાર માની પાલના આપનાર સરસ્વતીને સ્નેહથી ‘મમ્મા’ કહી બોલાવતા. પરમાત્મા શિવના વિશ્વ પરિવર્તનના કલ્યાણકારી આદેશોના અને બ્રહ્માબાબાના દિનપ્રતિદિનનાં કાર્યોના મુખ્ય સાક્ષી જગદંબા સરસ્વતીજી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલયનાં પ્રથમ મુખ્ય સંચાલિકા જ નહિ, પરંતુ વિધાલયની ઉજ્જવળ કારર્કીર્દિના આધારસ્તંભ પણ હતાં. આજે તેમની ૫૩મી પુણ્યતીથિએ નતમસ્તકે પ્રણામ કરી તેમને અંતકરણની ભાવાંજલિ.. -સંકલન: કૌશિક એન.ભટ્ટ, નડિયાદ    


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.