Western Times News

Gujarati News

અમરેલીમાં ડોમ ધરાશાયી- નીચે દબાયેલા લોકોને મહામહેનતે બહાર કઢાયા

અમરેલીમાં વરસાદમાં દાદા ભગવાન જન્મોત્સવનો ડોમ ધરાશાયી-મહોત્સવની પૂર્ણાહુતિ

અમરેલી, અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલા ત્રિમૂર્તિ મંદિર ખાતે દાદા ભગવાનની ૧૧૬મી જન્મ જયંતિ નિમીતે ગત તા.રરથી આગામી તા.ર૮ સુધી એક સપ્તાહના ભવ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં પ્રથમ દિવસે જ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ કરાયો હતો.

પરંતુ ગઈકાલે અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે મોડી સાંજે ભારે વરસાદ બાદ જમણવાર માટે ઉભા કરાયેલા રસોડા વિભાગના એક વિશાળ ડોમ અચાનક તુટી પડયો હતો જેને લઈ અફડાતફડી મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ૧૦ જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ દાદા ભગવાનના જન્મોત્સવની ઉજવણી દરમિયાન જમણવાર માટે ઉભા કરાયેલા રસોડા વિભાગનો એક વિશાળ ડોમ અચાનક તુટી પડયો હતો. આ દુર્ઘટના ગઈકાલે મોડી સાંજે અમરેલીમાં લીલિયા રોડ પર ત્રિમંદિર નજીક બની હતી. ચાર દિવસ પહેલા અહી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહોત્સનો આરંભ કરવામાં આવ્યો હતો.

ગઈકાલે દાદા ભગવાનની ૧૧૬મી જન્મ જયંતિ પણ ઉજવાઈ હતી જાેકે અમરેલીમાં ગઈકાલે આખો દિવસ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો હતો અહીં આશરે રપ લાખ ચોરસ ફુટ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે અહીં રસોડા વિભાગ માટે પણ વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો.

મોડી ગઈકાલે મોડી સાંજે આ ડોમ અચાનક ધરાશાયી થયો હતો જેમાં ડોમ નીચે કેટલાક લોકો દટાયા હોવાની જાણ થતા અમરેલીની બે તથા લીલીયાની એક મળી કુલ ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી હતી. અમરેલી ફાયર વિભાગની ટીમ પણ અહીં દોડી ગઈ હતી. ડોમ નીચે દટાયેલા અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જાણવા મળતી વિગત મુજબ આ ઘટના સમયે ૧૦૦ જેટલા લોકો નીચે હતા જે સહી સલામત બહાર આવ્યા હતા. બે વ્યક્તિની ભાળ મળતી ન હતી પણ ફાયર બ્રિગેડની ટીમે તેને શોધી કાઢયા હતા. બીજી તરફ વરસાદી માહોલના કારણે આયોજકો દ્વારા તાબડતોબ સાંજથી જ મહોત્સવ મુલતવી રાખવાની જાહેરાત કરી દેવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.