Western Times News

Gujarati News

શિક્ષકને નિવૃત્તી બાદ પણ પગાર ન ચૂકવાતાં સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા

અમેઠી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના ૩ દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી હતી, ત્યારે એક નિવૃત્ત શાળાના શિક્ષકે ફરિયાદ કરી હતી કે નિવૃત્તિ પછી પણ, તેના પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેના પર સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલ સ્મૃતિ ઈરાની અમેઠીના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે તેમણે અમેઠીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં નિવૃત શિક્ષક દ્વારા સ્મૃતિ ઈરાનીને ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે હજુ તેમના પગારની ચુકવણી થઇ નથી.

આ બાબત પર તાત્કાલિક એક્શન લેતા સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે ‘તમારા ડેસ્ક પર જે પણ ફાઈલ બાકી છે તે આજે જ ક્લિયર કરો.’ નિવૃત્ત શિક્ષકોનો આરોપ છે કે તેમને માર્ચ ૨૦૨૨નો પગાર મળ્યો નથી.

આ માટે તેઓ ઘણા મહિનાઓથી ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ જિલ્લા શાળા નિરીક્ષક કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. તેમજ જ્યારે પણ તેઓ ઓફિસે જાય છે ત્યારે જિલ્લા શાળા નિરીક્ષક ઓફિસમાં હોતા નથી. સ્મૃતિ ઈરાનીની શિક્ષણ અધિકારી સાથે વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ સિવાય અમેઠીની મુલાકાત દરમિયાન સ્મૃતિ ઈરાનીએ વારંવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એક ઈવેન્ટમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી ૧૫ વર્ષ સુધી અમેઠીના સાંસદ હતા પરંતુ તેમણે અમેઠીના વિકાસ માટે કંઈ જ નથી વિચાર્યું. આ ઉપરાંત તેમણે આરોપ પણ લગાવ્યો કે અમેઠીમાં રાહુલ ગાંધી વ્યવસ્થિત ગટર પણ ન બનાવડાવી શક્યા! SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.