Western Times News

Gujarati News

લિંબોદ્રા ગામે પ્રેમીપંખીડાના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા

શહેરા, આપણે ઘણીવાર સાંભળ્યુ છે કે, પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં કેટલાક યુવક યુવતીઓ અકલ્પનિય પગલાં ભરી લેતા ખચકાતા નથી. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. શહેરા તાલુકાના લિંબોદ્રા ગામે રવિવારના રોજ સાંજે ગુમ થયેલા પ્રેમીપંખીડાના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા હતા. જાેકે આ પ્રેમી પંખીડાએ મોતને કેમ વ્હાલુ કર્યુ તે અંગેનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી.

પરંતુ સોશિયલ મીડિયામાં મૃતક યુવકે પોતાની પ્રેમિકાની હત્યા કરી બંનેના આત્માને શાંતિ મળે એવી પોસ્ટ બાદ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પ્રેમીએ ધારદાર ચપ્પા વડે પ્રેમિકાનું ગળું કાપી ઘાતકી હત્યા કરી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. પ્રેમમાં ભરાયેલા આ પગલાંથી હાલ તો સ્વજનોએ પોતાના સંતાનને અકાળે ગુમાવવાનો વારો આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદ્રા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતી ૧૯ વર્ષીય શીતલ પરમાર અને ગામના ૨૨ વર્ષીય વિજય પરમાર વચ્ચે કથિત પ્રેમ સબંધ પાંગર્યો હતો. શીતલ પરમાર હાલોલ ખાતે આવેલી એક કંપની નોકરી કરતી હતી અને ગત રવિવારના રોજ શીતલ હાલોલ ખાતેથી પોતાના ઘરે લીંબોદ્રા ખાતે સાંજના સમયે આવી પહોંચી હતી એ વખતે વિજય તેને સાથે લઈ ગયો હતો.

જેથી શીતલના પિતાએ શહેરા પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન શહેરા પોલીસ મથકના પી.આઈ આર.કે.રાજપુતે બનેલા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કાફલા સાથે આવી કડકડતી ઠંડીમાં બંને પ્રેમીપંખીડાની શોધખોળ આરંભી હતી. બીજી તરફ પોલીસની શોધખોળ વચ્ચે સોશિયલ મીડિયામાં વિજય પોતાના અને શીતલના ફોટા સાથે એક પોસ્ટ અપલોડ કરી હતી.

જેમાં નીચે મૃત હાલતમાં શીતલનો ફોટો મૂકી “મારી ગોડી તારી આત્માને આપે. મેં મર્ડર કર્યું છે અને મારી આત્માને પણ શાંતિ આપે” એવું લખાણ લખ્યું હતું. જેથી પોલીસ દ્વારા લીંબોદ્રા ગામે આવેલી નદીથી લઈ લીંબોદ્રા, ધાણીત્રા અને ચાંદણગઢ આ ત્રણ ગામની સીમાઓમાં ફેલાયેલા જંગલ વિસ્તારમાં પોલીસ કાફલો અને ગ્રામજનો એ દોડી જઇ બંને મૃતકને શોધવાનું અભિયાન તેજ બનાવ્યું હતું. રવિવારથી શરૂ કરાયેલા શોધખોળ અભિયાનનો અંત સોમવારે બપોરે ચાર વાગ્યે આવ્યો હતો.

જંગલની વચ્ચે આવેલા એક વૃક્ષ પર વિજયનો ગળાફાંસો ખાધેલી હાલતનો મૃતદેહ જાેવા મળ્યો હતો. જેની નજીકમાં જ શીતલનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિજય દ્વારા અપલોડ કરાયેલી તસવીરના વાસ્તવિક દ્રશ્યો અહીં જાેવા મળતાં પોલીસ અને ગ્રામજનો ચોંકી ઉઠ્‌યા હતા. શીતલનું ગળું કોઈ ધારદાર હથિયાર વડે કાપી નાખવામાં આવ્યું હતું.

પોલીસના પ્રાથમિક તારણ અનુસારની રીતે જણાવ્યા મુજબ, વિજયે શીતલ મારી નહિ તો કોઈ બીજાની પણ થવા નહીં દઊં એવા ઝનૂન સાથે ધારદાર ચપ્પા વડે ગળું કાપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ પાસે આવેલા વૃક્ષ પર ગળાફાંસો ખાઈ પોતાના જીવનનો પણ અંત આણ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બનાવના પગલે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી એકત્રિત થઈ ગયા હતા.

શહેરા પોલીસે એફ.એસ.એલની મદદ લીધી હતી અને ઘટનાની જાણ ગોધરા વિભાગના ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ બંને પરિવારના સભ્યોને સમજાવટ કરી હતી. ત્યારબાદ પોલીસે બંનેના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.