Western Times News

Gujarati News

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નવી પોસ્ટને આખરે લીલીઝંડી

૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન સૂચન કરવામાં આવ્યા બાદ લાંબાગાળા પછી લેવાયેલો નિર્ણય: સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે

નવીદિલ્હી, સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નવી પોસ્ટ ઉભી કરવાની લીલીઝંડી આપી દીધી છે. કારગિલ યુદ્ધ દરમિયાન આ પોસ્ટને લઇને જોરદાર માંગ ઉઠી હતી. આ વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ ઉભી કરવાની જાહેરાત કરી હતી. વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ બાદ કારગિલ રિવ્યુ કમિટિ દ્વારા આ અંગેનું સૂચન કર્યું હતું જે સંરક્ષણ સાથે જોડાયેલા મામલા પર સરકારના સિંગલ પોઇન્ટ એડવાઈઝર તરીકે રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂંકનો હેતુ ભારતની સામે આવનારા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે ત્રણેય સેનાઓની વચ્ચે તાલમેલ બેસાડવા માટેનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટના દિવસે ઐતિહાસિક સૈન્ય સુધારાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભારતની ત્રણેય સેનાઓ માટે એક પ્રમુખ રહેશે જેને સીડીએસ કહેવામાં આવશે.

વડાપ્રધાને જાહેરાત કર્યા બાદથી જ સીડીએસની નિણમૂંકના તોર તરીકે અને તેની જવાબદારીને અંતિમ ઓપ આપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. પ્રોટોકોલના મામલામાં પણ સીડીએસ સૌથી ઉપર રહેશે. સીડીએસ મુખ્યરીતે સંરક્ષણ અને વ્યૂહાત્મક મામલામાં વડાપ્રધાન અને સંરક્ષણમંત્રીના એકીકૃત લશ્કરી સલાહકાર તરીકે કામ કરશે. ૧૯૯૯ના કારગિલ યુદ્ધને ધ્યાનમાં લઇને દેશની સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓની સમીક્ષા કરવા માટે બનાવવામાં આવેલી સમિતિએ સંરક્ષણ મંત્રીના એકીકૃત સૈન્ય સલાહકાર તરીકે સીડીએસની નિમણૂંકની ભલામણ કરી હતી. આનો સૌથી વધારે ફાયદો યુદ્ધના સમયે થશે. યુદ્ધના સમયે ત્રણેય સેનાઓની વચ્ચે પ્રભાવી અમલીકરણને લઇને કામ કરી શકાશે. આનાથી દુશ્મનોના સક્ષમરીતે મુકાબલો કરીને તેમને નિષ્ફળ કરવામાં આવશે. હકીકતમાં સુરક્ષા દળોની કામગીરીમાં અનેક ખામીઓ સપાટી ઉપર આવી ચુકી છે.

૧૯૬૨માં ચીન સાથેના ભારતના યુદ્ધ દરમિયાન પણ કેટલીક બાબતો સપાટી ઉપર આવી હતી. તે યુદ્ધમાં ભારતીય વાયુ સેનાને કોઇ ભૂમિકા આપવામાં આવી ન હતી. તે વખતે ભારતીય હવાઈ દળ તિબેટના પઠાર વિસ્તારમાં એકત્રિત થયેલા ચીની સૈનિકોને ટાર્ગેટ બનાવી શકી હોત અને ચીનને યુદ્ધમાં પછડાટ આપી શકાય હોત. આવી જ રીતે પાકિસ્તાન સાથે ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન ભારતીય નૌકા સેનાને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર હુમલા કરવાની યોજનાથી વાકેફ કરવામાં આવ્યા ન હતા. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની હાજરીમાં આ પ્રકારની કોઇ ખામી રહેશે નહીં. સેના અસરકારકરીતે દુશ્મન સામે લડી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.