Western Times News

Gujarati News

ધોરણ-૧૦,૧૨ના ચાર કરોડથી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન સંપન્ન

ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્ર મેળવી શકશે: આ પ્રકારની સેવાઓ વિદ્યાર્થીઓ માટે લાભદાયી: શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

વર્ષ ૧૯૫૨ થી અત્યાર સુધીના કોઈપણ વર્ષના ઓલ્ડ એસ.એસ.સી સહિત ધોરણ-૧૦,૧૨ ના ડુપ્લીકેટ ગુણપત્રક, પ્રમાણપત્રો ઓનલાઇન અરજી દ્વારા મેળવી શકાશે

ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઉપરાંત ઓલ્ડ એસ.એસ.સી ના વિદ્યાર્થીઓ/અરજદારો હવે માત્ર ઓનલાઈન અરજી કરીને ગુણપત્રક,  પ્રમાણપત્ર, માઈગ્રેશન તથા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તેવી ડિજિટલ સેવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ સેવાનો શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થી સેવા કેન્દ્રમાં શુભારંભ કરાવ્યો હતો. આ  ડિજિટલ સેવા અંતર્ગત માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ષ ૧૯૫૨ થી ૧૯૭૫ સુધી ધોરણ ૧૧ ઓલ્ડ એસ.એસ.સી અને વર્ષ ૧૯૭૬ થી ધોરણ ૧૦ વર્ષ ૧૯૭૮ થી ધોરણ ૧૨  અને અત્યાર સુધીમાં ૪.૧૯ કરોડ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડમાં ૪૦,૬૯,૪૫૫ પેજનું સ્કેનિંગ કરી તેનું ડિજિટલાઈજેશન કરી સોફ્ટ કોપીમાં ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.

આ ડેટા તૈયાર થઇ જતાં હવે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન સર્ટિફિકેટ જેવા પ્રમાણપત્રો માટેની અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીને હવે ઘરે બેઠાં જ જરૂરી દસ્તાવેજો મળી જશે તે માટે ની જરૂરી ફી પણ ઓનલાઈન ભરી શકાશે.

વિદ્યાર્થીઓ-અરજદારો બોર્ડે તૈયાર કરેલ એપ્લિકેશન અથવા બોર્ડની વેબસાઇટ પરથી અરજી કરી શકશે. આ અરજી ચકાસીને જે તે પ્રમાણપત્ર તૈયાર કરી ત્રણ દિવસમાં વિદ્યાર્થીના સરનામે પોસ્ટ કરી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ અરજદારો ને ઘરે બેઠા પ્રમાણપત્રો મળી શકશે. આ ઓનલાઇન પ્રક્રિયાના કારણે વાર્ષિક અંદાજિત ૫૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજ મેળવવા માટે થતા આવન-જાવન ખર્ચ અને સમયમાં બચત થશે. દસ્તાવેજોનું ડિજીટલાઇઝેશન થવાને કારણે રેકર્ડ ત્વરિત- સરળતાથી કમ્પ્યુટર મારફતે શોધી અરજદારોને મોકલી શકાશે. આ રેકર્ડ ડિજિટલાઇઝ હોવાથી આગ, પાણી, ઉધઈ જેવી કુદરતી આપત્તિથી સુરક્ષિત રહેશે.

આ ડિજિટલાઇઝેશન પ્રક્રિયાનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતને  વિશ્વ ગુરૂ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થકી જરૂરી નવતર પહેલ કરી ગુજરાતને વૈશ્વિક સ્તરે રોલ મોડલ તરીકે સ્થાપિત કરી રહ્યું છે. વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે કારકિર્દી ઘડવા જરૂરી એવા ધોરણ-૧૦ અને ૧૨ના દસ્તાવેજો સરળતાથી મળી રહે તે જરૂરી છે જેના માટે આ ડિજિટલાઇઝેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓને ઘણી લાભદાયી નિવડશે.

આ પ્રસંગે ધોરણ-૧૦,૧૨ની પરીક્ષા સંદર્ભે ‘પરીક્ષા પર્વ વિશેષાંક-૨૦૨0’ પુસ્તકનું શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિમોચન કર્યુ હતું. શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડો. વિનોદ રાવે કહ્યું હતું કે આ ડિજિટલાઇઝેશન પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓ જરૂરી દસ્તાવેજો ખર્ચ અને સમયની બચત સાથે ઘરે બેઠા મેળવી શકશે અને જો વિદ્યાર્થીને તાત્કાલિક દસ્તાવેજોની જરૂર હોય તો તેઓ બોર્ડમાં આવેલ વિદ્યાર્થી સેવા કેન્દ્રમાં રૂબરૂ આવી મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ.જે શાહે કહ્યું હતું કે વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરી વિદ્યાર્થીઓને જરૂરી સેવાઓ મળી રહે તે માટે બોર્ડ કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ શ્રી ડી. એસ. પટેલ,  સંયુક્ત નિયામક શ્રી બી. એન. રાજગોર, બોર્ડ સભ્યશ્રીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.