વડોદરાના 500થી વધુ લોકો ઉમરાહમાં ફસાયા: 25 હજાર જેટલા ગુજરાતીઓ સાઉદીમાં
File Photo
અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદઃ અમદાવાદ, સુરત, રાજકોટના યાત્રિકોનો સમાવેશ-યુદ્ધ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા
(એજન્સી)અમદાવાદ, વૈશ્વિક સ્તરે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા ડાયવર્ટ કરવામાં આવી હતી, જેના કારણે લાખો મુસાફરો અટવાઈ ગયા હતા. ભારતમાં, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય એ તાત્કાલિક કાર્યવાહી કરી અને ભારતીય એરલાઇન્સને ૨ માર્ચ સુધી ૧૧ દેશો (ઈરાન, ઇઝરાયલ, લેબનોન, યુએઈ સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન, ઇરાક, જોર્ડન, કુવૈત અને કતાર) ના એરસ્પેસ ટાળવાની સલાહ આપી.
આ સલાહને અનુસરીને, ઇન્ડિગો, એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્પાઇસજેટ જેવી મોટી એરલાઇન્સે મધ્ય પૂર્વ માટે તેમની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી. ઇઝરાયલ ઇરાનના યુદ્ધ વચ્ચે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. દુબઇ સહિતના એરપોર્ટ પર પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ છે.
ગુજરાતના વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદના કેટલાક લોકો પણ યુદ્ધના કારણે દુબઇ અને બેહરીન એરપોર્ટ પર ફસાયા છે. વડોદરાના ૫૦૦થી વધુ લોકો ઉમરામાં ફસાયા છે. જેદ્દાહ એરપોર્ટ પર પણ વડોદરાના ૫૨ પ્રવાસી અટવાયા છે. દુબઈ અને બહેરીન એરપોર્ટ પર પણ વડોદરાના અનેક લોકો ફસાયેલા છે.
બેહરિનમાં ગુજરાતી પરિવાર ફસાયાનો એક વીડિયો જોવા મળ્યો છે, જેમાં તે વીડિયો દ્વારા ત્યાંનો યુદ્ધનો માહોલ દર્શાવવાના પ્રયાસ કરતો જોવા મળે છે. ગુજરાતી પરિવાર મિસાઇલ જોઈને કહી રહ્યો છે, જુઓ હવે ધડાકો બોલશે. મિસાઈલ પડતી હોય અને ગુજરાતી ભાષામાં બોલતા હોય તેવો એક વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અચાનક ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા ઉમરાહમાં ગયેલા ૨૫ હજાર જેટલા ગુજરાતીઓ સાઉદીમાં ફસાઇ ગયા છે.
અશાંતિ અને યુદ્ધના માહોલ વચ્ચે દુબઇથી અમદાવાદ આવતી તમામ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. નોંધનિય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, કચ્છના તમામ યાત્રિઓ હાલ દુબઇ સહિતના એરપોર્ટમાં ફસાયા છે પરંતુ બધા જ સલામત હોવાના અહેવાલ છે. આ ફસાયેલા લોકોના પરિવારના લોકોએ વીડિયો કોલ કરીને ખબરઅંતર પૂછ્યાં હતા.
નોંધનિય છે કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓની મુશ્કેલી વધી છે. આજે અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ છે.
આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે કે, ખાડી દેશોમાં એયરસ્પેસ બંધ હોવાના કારણે અનેક ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે. ભારતમાં કાલે ૪૧૦ ફ્લાઈટ રદ કરી હતી. આજે ૪૪૪ ઉડાન રદ થવાની આશંકા છે. પ્રવાસીઓને ફ્લાઈટનું સ્ટેટ્સ ચેક કરીને જ એરપોર્ટ જવા રવાના થવાની સૂચના અપાઇ છે.
