ભારતનો પેટ્રોલિયમ રિઝર્વ 74 દિવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ: હરદીપસિંહ પુરી
ભારત પાસે ૨૫ દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલનો સ્ટોક ઉપલબ્ધ-૨૫ દિવસનો સ્ટોક ટ્રાન્ઝિટમાં
(એજન્સી) નવી દિલ્હી, અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલા બાદ ઈરાન સાથે વધતા તણાવ અને મધ્ય-પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારી સૂત્રોએ દાવો કર્યો કે, ક્રૂડ ઓઈલ અને ગેસના પુરવઠા બાબતે ભારત હાલ સુરક્ષિત સ્થિતિમાં છે.
સુત્રોએ દાવો કર્યો કે, ‘ક્રૂડ ઓઈલના સંદર્ભમાં આપણે અત્યારે ઘણી સારી સ્થિતિમાં છીએ. આપણી પાસે ક્રૂડ ઓઈલનો ૨૫ દિવસનો રિઝર્વ સ્ટોક છે અને અન્ય ૨૫ દિવસનો સ્ટોક ટ્રાન્ઝિટમાં (આવી રહ્યો) છે.’
ગત્ત મહિને તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ વૈશ્વિક ઉથલપાથલના સમયે ૭૪ દિવસની માંગને પૂરી કરી શકે તેટલો સક્ષમ છે. તેમણે ઉમેર્યું કે, ‘અમે અમારા અનામત જથ્થાની ગણતરી માત્ર સ્ટોરેજમાં જ નહીં પરંતુ રિફાઇનરીઓમાં રહેલા જથ્થાના આધારે પણ કરીએ છીએ.’ વિશ્વના કુલ તેલ પરિવહનનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે ‘હોર્મુઝની ખાડી’ ઈરાને બંધ કરી દેતા ઉર્જા સંકટની આશંકા વધી છે.
ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ સત્તાવાર જાહેરાત કરી છે કે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેવામાં આવી છે. ઈરાને ચેતવણી આપી છે કે, જે પણ પસાર થવાનો પ્રયત્ન કરશે તેને અમારી નેવી દ્વારા તબાહ કરી દેવામાં આવશે.
વધુમાં કહ્યું કે,અમે આ પ્રદેશની પાઇપલાઇન્સ પણ નિÂષ્ક્રય કરી દઈશું અને તેલની નિકાસ થવા દઈશું નહીં. અમે તેલનું એક ટીપું પણ પહોંચવા દઈશું નહીં.
