Western Times News

Gujarati News

ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલામાં મહત્વના દસ્તાવેજો અને ડેટા સેન્ટરને નુકસાન?

ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર ભીષણ હુમલો-ઈરાને વળતા પ્રહારમાં બેહરીન, ઈરાક સહિતના દેશો પર કરેલો ભીષણ હુમલો

તહેરાન, ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ એક પછી એક ગંભીર પરિણામો આવી રહયા છે. ઈરાનની ટોચની હરોળના લશ્કરના અધિકારીઓ તથા તેમના પ્રમુખ ખામનેઈના ખાત્મા બાદ હવે ઈરાન વળતા પ્રહારો કરી રહયું છે.

જોકે ઈઝરાયલે ઈરાનના પાટનગર તહેરાનમાં વ્યાપક બોમ્બમારો કરી ભારે નુકશાન પહોંચાડયું છે અને મોટાપ્રમાણમાં જાનહાની થઈ છે. આજે ઈઝરાયલે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો ત્યારે બીજીબાજુ ઈરાને પણ કુવૈત, બેહરીન, ઈરાક પર હુમલો કર્યો છે.

ઈઝરાયલે ઈરાન સામે કરેલું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ચૂક્્યું છે. ઈઝરાયલના સુરક્ષા દળોઅ ૩ માર્ચે કબૂલ્યું હતું કે, ‘અમે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન સહિતના મુખ્ય મથકો પર એર સ્ટ્રાઈક કરી છે.’ ઈઝરાયલે આ સ્થળને ઈરાની શાસનનું ‘સૌથી મહત્ત્વનું અને કેન્દ્રીય મુખ્યાલય’ ગણાવ્યું હતું. બીજી તરફ ઈરાનની સરકારી મીડિયાના દાવા મુજબ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ૧૩૧થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી ૭૮૭ લોકોના મોત થયા છે. ઈરાને ‘ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો’ ગણાવ્યો છે.

ઈરાનની રાજધાની તેહરાનની મધ્યમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન (પ્રેસિડેન્શિયલ ઓફિસ) અને સુપ્રીમ નેશનલ સિક્્યુરિટી કાઉન્સિલની ઇમારત પર ઈઝરાયલે મિસાઇલ હુમલા અને બોમ્બમારો કરાયો હતો.

શું નુકસાન થયું? 

  • ઇમારતને નુકસાન: હુમલાના કારણે રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય સંકુલનો એક હિસ્સો અને વહીવટી પાંખને મોટું નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસની અન્ય ઇમારતોના કાચ પણ તૂટી ગયા છે.

  • સુરક્ષા કવચમાં ભંગ: ઈરાનની સૌથી સુરક્ષિત ગણાતી જગ્યા પર આ હુમલો થવો એ તેમની એર ડિફેન્સ સિસ્ટમ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. સુરક્ષા પોસ્ટ્સ અને સંદેશાવ્યવહારના સાધનોને પણ નુકસાન થયાની શક્યતા છે.

  • જાનહાનિની સ્થિતિ: પ્રારંભિક અહેવાલો મુજબ, હુમલા સમયે રાષ્ટ્રપતિ સુરક્ષિત હોવાનું જણાવાયું છે, પરંતુ ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ અને સ્ટાફ પૈકી કેટલાક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. (સત્તાવાર આંકડો હજુ જાહેર કરવામાં આવ્યો નથી).

  • દસ્તાવેજી નુકસાન: વહીવટી ઓફિસોમાં લાગેલી આગને કારણે મહત્વના દસ્તાવેજો અને ડેટા સેન્ટરને નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો અત્યંત આધુનિક ડ્રોન અથવા ગાઈડેડ મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હોવાનું મનાય છે. ઈરાની સેનાએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને તપાસ શરૂ કરી છે.

આ હુમલામાં ઈઝરાયલે સુરક્ષા અને વ્યૂહનીતિ ઘડતી તમામ ઓફિસો, સૈન્ય અધિકારીઓને તાલીમ આપતી સંસ્થાઓ અને અન્ય મહત્ત્વની માળખાગત સુવિધાને પણ નિશાન બનાવી હતી. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, આ ઈમારતોમાં બેસીને જ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઈઝરાયલના વિનાશની યોજનાઓ ઘડાતી હતી. આ હુમલાથી ઈરાનના કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને મોટું નુકસાન પહોંચ્યું છે.

ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ ઈરાને નવ દેશોમાં અમેરિકાના મિલિટરી બેઝ પર હુમલા કર્યા હતા. ઈરાને ૩ માર્ચે પણ રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો કર્યો હતો, જ્યારે કુવૈતમાં પણ અમેરિકી દૂતાવાસને કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હવે આ સંઘર્ષ લાંબો સમય ચાલી શકે છે.

બીજી તરફ, પશ્ચિમ એશિયામાં વધી રહેલા આ ભીષણ તણાવ મુદ્દે ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ખાડી દેશોમાં એક કરોડથી પણ વધુ ભારતીયો છે, જેમની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ નિવેદનમાં ભારતે ભારતે તમામ દેશોના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન જાળવવા પર ભાર મૂકીને વાટાઘાટોથી વિવાદ ઉકેલવાની સલાહ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.