Western Times News

Gujarati News

કાશ્મીરમાં ૭મી સુધી શાળા-કોલેજો બંધઃ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર

શ્રીનગર, ઈરાનના સર્વાેચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ કાશ્મીરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને રાજ્યના વહીવટીતંત્રે મોટો નિર્ણય લીધો છે.

સમગ્ર કાશ્મીર ખીણમાં ૭ માર્ચ સુધી તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. કાશ્મીરના શિયા બહુલ વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે ભારે દેખાવોના કારણે સ્થિતિ તણાવપૂર્ણ બની છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.

તેમણે નાગરિકો અને સામુદાયિક નેતાઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. બીજી તરફ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદો વિદેશી સૈન્ય આક્રમણ કે કોઈ રાષ્ટ્રના નેતાની હત્યાને ન્યાયી ઠેરવતો નથી.

તેમણે લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાનો શોક વ્યક્ત કરવા વિનંતી કરી છે. સાવચેતીના ભાગરૂપે સુરક્ષા દળોના કાફલાની અવરજવર પર પણ હાલ રોક લગાવી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ઇસ્લામિક સહયોગ સંગઠન(ઓઈસી) પર આકરા પ્રહારો કર્યા છે.

ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાઈ રહેલા હુમલાઓ અંગે ઓઆઈસીના મૌનને તેમણે મુસ્લિમ જગત સાથેનો મોટો વિશ્વાસઘાત ગણાવ્યો છે. મુફ્તીએ કહ્યું કે, જ્યારે ઈરાનની સંપ્રભુતા પર હુમલો થઈ રહ્યો છે, ત્યારે ઓઆઈસી મૂક છે. ઈરાન પ્રત્યે સંગઠનનું વલણ શરમજનક છે અને તે પરોક્ષ રીતે હુમલાખોરોને સમર્થન આપવા જેવું છે. તેમના મતે, આ મૌન મુસ્લિમ સમુદાયના હિતો વિરુદ્ધ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.