Western Times News

Gujarati News

રાજ્યસભાના ૭૩ સાંસદ સામે ફોજદારી કેસ, ભાજપના સૌથી વધુ ૨૭ સાંસદ

નવી દિલ્હી, ચૂંટણી સુધારા સંદર્ભે કાર્યરત બિન-સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના રિપોર્ટ મુજબ, રાજ્યસભાના વર્તમાન સાંસદોમાંથી લગભગ ૩૨ ટકાએ પોતાની સામે ફોજદારી કેસ નોંધાયા હોવાનું સ્વીકાર્યું છે અને તેમાંથી ૧૪ ટકા અબજોપતિ છે.

રાજ્યસભાના ૨૩૩ સંસદસભ્યોમાંથી ૨૨૯ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાના વિશ્લેષણ બાદ આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ વિશ્લેષણમાં તાજેતરમાં ચૂંટાયેલા ૩૭ સભ્યોને પણ સમાવી લેવાયા છે.

૨૨૯ સાંસદોમાંથી ૭૩ (૩૨ ટકા) સામે ફોજદારી ગુના નોંધાયેલા છે. તેમાંથી ૩૬ (૧૬ ટકા) ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. એક સંસદસભ્ય સામે હત્યાનો ગુનો, ચાર સામે હત્યાના પ્રયાસનો ગુનો તથા ત્રણ સામે મહિલા વિરોધી અપરધ સંદર્ભે ગુના નોંધાયેલા છે.

ભાજપના ૯૯ સાંસદમાંથી ૨૭, કોંગ્રેસના ૨૮માંથી ૧૨, તૃણમૂલ કોંગ્રેસના ૧૩ સાંસદમાંથી ચાર અને આમ આદમી પાર્ટીના ૧૦માંથી ચાર સાંસદોએ પોતાની સામે ફોજદારી ગુના નોંધાયા હોવાનું જાહેર કર્યું છે.

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને બીઆરએસના ત્રણ-ત્રણ સાંસદોએ પણ ફોજદારી કેસનો ખુલાસો કર્યાે છે. ૩૧ સાંસદો (૧૪ ટકા)ની કુલ સંપત્તિ અબજો રૂપિયા છે. મુખ્ય પક્ષોમાં ભાજપના ૬, કોંગ્રેસના ૫, વાયએસએર કોંગ્રેસના ચાર, આમ આદમી પાર્ટી અને બીઆરએસના બે-બે તથા એનસીપીના ત્રણ સાંસદ પાસે રૂ.૧૦૦ કરોડથી વધુની સંપત્તિ છે.

રાજ્યસભાના સભ્યોને સરેરાશ સંપત્તિ ૧૨૦.૬૯ કરોડ આંકવામાં આવી છે. ભાજપમાં સાંસદદીઠ સરેરાશ સંપત્તિ ૨૮.૨૯ કરોડ રૂપિયા, કોંગ્રેસમાં ૧૨૮.૬૧ કરોડ રૂપિયા, તૃણમૂલમાં ૧૭.૭૦ કરોડ અને આમ આદમી પાર્ટી માટે ૫૭૪.૯૦ કરોડ છે. અન્ય પક્ષોમાં વાયએસઆરપી (૫૨૨.૬૩ કરોડ), સમાજવાદી પક્ષ (૩૯૯.૭૧ કરોડ), બીજેડી(૧૦૫.૬૩ કરોડ) અને દ્રમુક (૧૧.૯૦ કરોડ)નો સમાવેશ થાય છે.

બીઆરએસના સાંસદ બંડી પાર્થ સારથીએ સૌથી વધુ રૂ.૫,૩૦૦ કરોડની સંપત્તિ જાહેર કરી છે. ત્યારપછી આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર ગુપ્તાએ રૂ.૫,૦૫૩ કરોડ અને વાયએસઆરસીપીના અયોધ્યા રામી રેડ્ડી આલાએ રૂ.૨,૫૭૭ કરોડની સંપત્તિ જાહેર કરી છે. આમ ટોચના ત્રણ ધનિક સાંસદોમાં ભાજપ અને કોંગ્રેસના કોઈ સાંસદનો સમાવેશ થતો નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.