નાશિકનો ઠગ અશોક ખરાત: મંત્રાલય સુધી પહોંચ્યા ભ્રષ્ટાચારના છેડા
અભિજીત ભાંડે પાટીલે અશોક ખરાતની પત્ની અને પુત્રીના નામે થયેલા અનેક જમીન વ્યવહારોમાં મોટું બેનામી રોકાણ કર્યું હતું.
નાશિક/મુંબઈ: નાશિકના કુખ્યાત ઠગ અશોક ખરાતના કાળા કારનામાઓનો પર્દાફાશ થયા બાદ હવે આ કેસનો રેલો મહારાષ્ટ્ર મંત્રાલયની એરકન્ડિશન્ડ ઓફિસો સુધી પહોંચી ગયો છે. રાજકીય નેતાઓ બાદ હવે વહીવટી અધિકારીઓ સાથેના ખરાતના ‘અપવિત્ર ગઠબંધન’ ખુલ્લા પડતા મહેસૂલ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ડેપ્યુટી કલેક્ટર અભિજીત ભાંડે પાટીલ પર પડી ગાજ
મુંબઈના સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) માં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા અભિજીત ભાંડે પાટીલનું ડેપ્યુટેશન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓને શંકા છે કે ભાંડે પાટીલ અને અશોક ખરાત વચ્ચે અત્યંત ગાઢ અને આર્થિક સંબંધો હતા. આ કાર્યવાહીને પગલે મંત્રાલયના અન્ય ઉચ્ચ અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો
તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ, અભિજીત ભાંડે પાટીલ માત્ર ખરાતના મિત્ર જ નહોતા, પરંતુ તેના નાણાકીય સામ્રાજ્યમાં પડદા પાછળના ભાગીદાર હોવાના ગંભીર આરોપો છે:
-
જમીન કૌભાંડમાં રોકાણ: શંકા છે કે અભિજીત ભાંડે પાટીલે અશોક ખરાતની પત્ની અને પુત્રીના નામે થયેલા અનેક જમીન વ્યવહારોમાં મોટું બેનામી રોકાણ કર્યું હતું.
-
વહીવટી રક્ષણ: મહેસૂલ વિભાગમાં મહત્વના પદ પર રહીને આ અધિકારીએ ખરાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરકારી સ્તરે સુરક્ષા પૂરી પાડી હોવાનું મનાય છે.
-
ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર: ખરાતના કાળા નાણાંને સફેદ કરવામાં અથવા વહીવટી અડચણો દૂર કરવામાં આ અધિકારીની ભૂમિકા હોવાની તપાસ સીઆઈડી (CID) દ્વારા કરવામાં આવી રહી છે.
CID અને પોલીસના રડાર પર વધુ અધિકારીઓ
ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિજીત ભાંડે પાટીલની બદલી તો માત્ર હિમશિલાની ટોચ (Tip of the iceberg) છે. અશોક ખરાત જેવા ‘ઢોંગી બાબા’ ના શરણમાં જનારા અને ભ્રષ્ટાચારમાં સાથ આપનારા અન્ય કેટલાક મોટા ગજાના અધિકારીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
ગૃહ વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, “ખરાતના સંપર્કમાં રહીને પદનો દુરુપયોગ કરનાર દરેક ભ્રષ્ટ અધિકારીની પોલ ખોલવામાં આવશે અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
નાશિક બળાત્કાર કેસમાં પોલીસે કથિત ‘ધર્મગુરુ’ અશોક ખરાતની ધરપકડ કરી હતી-તેની જ ઓફિસના કર્મચારીએ ખરાતની ઓફિસમાં ગુપ્ત રીતે કેમેરા લગાવ્યો હતો અને મહિલાઓનું શોષણ થઈ રહ્યું હોવાના ફૂટેજ એકત્રિત કર્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે નાશિક બળાત્કાર કેસમાં પોલીસે સમયસર કાર્યવાહી કરીને અશોક ખરાતની ધરપકડ કરી હતી, જ્યારે ‘ધર્મગુરુ’ની કથિત કાર્યપદ્ધતિ વિશે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
ફડણવીસે કહ્યું કે ગુપ્તચર માહિતીના આધારે ખરાતની ધરપકડ કરવામાં આવી હતી અને દેશ છોડી શકે તે પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ખરાતને ફસાવીને સતર્કતાથી ધરપકડ કરી હતી. આ ખૂબ જ ગંભીર બાબત છે. તેણે પોતાની કહેવાતી સત્તાનો દુરુપયોગ કર્યો અને મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. તેની ધરપકડ કરવાની તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી,’ એમ પણ ફડણવીસે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ઘણી મહિલાઓ શરૂઆતમાં ફરિયાદ નોંધાવવામાં ખચકાટ અનુભવતી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા તેમને રક્ષણ આપવામાં આવ્યું હતું. ‘કોઈપણ પરિસ્થિતિમાં આ કેસમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં,’ એમ તેમણે કહ્યું હતું. ખરાત, જે પોતાને નિવૃત્ત મર્ચન્ટ નેવી અધિકારી કહેતા હતા અને ‘કેપ્ટન’ તરીકે જાણીતા હતા, તેમની 18 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 35 વર્ષની મહિલાએ ત્રણ વર્ષમાં અનેક વખત બળાત્કારનો આરોપ તેમના પર લગાવ્યો હતો.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2022માં ધાર્મિક વિધિઓના બહાને તેને તેની ઓફિસમાં બોલાવવામાં આવી હતી, તેને નશીલું પીણું આપવામાં આવ્યું હતું અને પછી શોષણ કરવામાં આવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આ દુર્વ્યવહાર વર્ષો સુધી ચાલુ રહ્યો હતો.
ખરાતના એક ભૂતપૂર્વ કર્મચારીએ આ કેસનો પર્દાફાશ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીએ ખરાતની ઓફિસમાં ગુપ્ત રીતે કેમેરા લગાવ્યો હતો અને મહિલાઓનું શોષણ થઈ રહ્યું હોવાના ફૂટેજ એકત્રિત કર્યા હતા.
કર્મચારીએ પોલીસને સોંપેલી સામગ્રીએ કથિત ગુનાઓનું પ્રમાણ ઉજાગર કરવામાં મદદ કરી હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે 10 માર્ચે બીજા જિલ્લામાંથી ફરિયાદ આવ્યા બાદ તેમણે તપાસ શરૂ કરી હતી. ત્યારથી, વધુ મહિલાઓ આગળ આવી છે અને અધિકારીઓ તપાસ આગળ વધતાં વધુ ફરિયાદોની અપેક્ષા રાખે છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી મહિલાઓએ ખરાચ પર ધાર્મિક વિધિઓ અને દૈવી શક્તિઓના દાવાનો ઉપયોગ કરીને તેમનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલીક મહિલાઓને એકલા અંદર બોલાવવામાં આવી હતી જ્યારે તેમના જીવનસાથીને બહાર રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 100થી વધુ વિડિઓ ક્લિપ્સ મળી આવી છે.
તપાસકર્તાઓનું માનવું છે કે આ સામગ્રીનો ઉપયોગ પીડિતોને દબાણ કરવા અથવા ધાકમાં રાખવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. અત્યાર સુધીમાં, ત્રણ એફઆઈઆર નોંધાયા છે અને વધુ થવાની શક્યતા છે. એસઆઈટી પીડિતો અને સાક્ષીઓના નાણાકીય રેકોર્ડ, ડિજિટલ પુરાવા અને નિવેદનોની તપાસ કરી રહી છે.
