સુરેન્દ્રનગરમાં આડાસંબંધમાં સસરાની પુત્રવધૂએ હત્યા કરી નાખી
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથક હેઠળના ફૂલગ્રામમાં ૫૮ વર્ષીય પ્રોઢની કરપીણ હત્યા કરવામાં આવી છે. આડા સંબંધોના વિરોધમાં થયેલી આ ઘટનામાં મૃતકની પુત્રવધૂ સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મૃતકના પુત્રએ પોલીસમાં નોંધાવેલી વિગતો અનુસાર, રમેશભાઈ નાનુભાઈ ગાબુના નાના દીકરાની પત્નીને ગામના જ એક યુવક સાથે આડા સંબંધો હતા. રમેશભાઈ અને તેમનો મોટો દીકરો મહેશભાઈ આ સંબંધોનો સતત વિરોધ કરતા હતા અને પુત્રવધૂ તેમજ સંબંધિત યુવકને સમજાવવાનો પ્રયાસ કરતા હતા.
આ બાબતે અગાઉ ઠપકો આપ્યો હોવાથી ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ સોહીલ રમેશભાઈ જીડીયા, સુરેશભાઈ લખમણભાઈ જીડીયા અને પુત્રવધૂ ચકુબેન ગાબુએ રમેશભાઈ પર હુમલો કર્યાે હતો.
પોલીસ ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન આરોપી સોહીલ જીડીયાએ લોખંડના પાઇપ વડે રમેશભાઈના માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી, જ્યારે અન્ય બે આરોપીઓએ લાકડાના ધોકા વડે પ્રહાર કર્યા હતા. ગંભીર ઇજાઓના કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકના નાના પુત્ર અશોકભાઈએ પાંચ વર્ષ પહેલાં ચકુબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ચકુબેનના આ ત્રીજા લગ્ન હતા અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી પણ છે.SS1MS
