Western Times News

Gujarati News

‘ધુરંધર’ના વિવાદ વચ્ચે ૪૬ વર્ષ જૂનો વીડિયો વાઇરલ

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’ અત્યારે સિનેમાઘરોમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. રિલીઝના માત્ર ૧૧ દિવસમાં જ આ ફિલ્મે ભારતમાં ૧૦૧૧.૯૫ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વિશ્વભરમાં તેનું કુલ કલેક્શન ૧૩૬૧.૯૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જોકે, આ ભવ્ય સફળતાની સાથે જ ફિલ્મ વિવાદોમાં પણ ઘેરાઈ છે.

સોશિયલ મીડિયા પર એક વર્ગ આ ફિલ્મના વખાણ કરતા થાકતો નથી, તો બીજી તરફ કેટલાક લોકો તેને ‘પ્રોપેગેન્ડા ફિલ્મ‘ ગણાવી રહ્યા છે અને તેમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ વિવાદ વચ્ચે ફિલ્મના સમર્થકો એક રસપ્રદ તર્ક રજૂ કરી રહ્યા છે. તેઓ ‘ધુરંધર ૨’ની સરખામણી ૪૬ વર્ષ પહેલાં આવેલી ફિરોઝ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુર્બાની’ સાથે કરી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર ‘કુર્બાની’ (૧૯૮૦)નો અંદાજે ૨ મિનિટનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. અહેવાલો મુજબ, તે સમયે ફિરોઝ ખાને પોતાની આ ફિલ્મ દ્વારા તત્કાલીન સરકારને ટ્રિબ્યુટ આપ્યું હતું અને પ્રીમિયર શોની કમાણી સરકારને દાનમાં આપવાનો નિર્ણય કર્યાે હતો.

ઉલ્લેખનીય છે કે, ‘કુર્બાની’ ફિલ્મ ૨૦ જૂન, ૧૯૮૦ના રોજ રિલીઝ થઈ હતી અને તેના ત્રણ દિવસ બાદ એટલે કે ૨૩ જૂને સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. આથી ફિરોઝ ખાને પોતાના અવાજમાં સંજય ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ૨.૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે તે જમાનામાં ૨૫ કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો.

હવે ‘ધુરંધર ૨’ના સમર્થકો આ ઉદાહરણ આપીને દલીલ કરી રહ્યા છે કે ફિલ્મોમાં સરકાર કે નેતાઓ પ્રત્યે સન્માન દર્શાવવું એ કંઈ નવું નથી, તે વર્ષાેથી ચાલ્યું આવે છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર ૨’ અત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, પરંતુ તેની સાથે જોડાયેલા વિવાદો પણ અટકવાનું નામ નથી લઈ રહ્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.