Western Times News

Gujarati News

સ્માર્ટ મીટર ‘આફત’ બન્યા: શામળપુરના સરપંચ સહિત ગ્રામજનોમાં ભારે રોષ

પ્રતિકાત્મક

પૂર્વ જાણ કર્યા વગર લાઈટો ગુલ: મેસેજની ખબર ન પડતા ગ્રામીણ જનતા મુશ્કેલીમાં

શામળાજી, અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ મીટરના અમલીકરણ બાદ જનતાની પરેશાનીમાં તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને શામળપુર ગામમાં સ્માર્ટ મીટર નાખ્યા બાદ જી.ઈ.બી. દ્વારા કોઈ પણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ જોડાણો કાપી નાખવામાં આવતા લોકરોષ ફાટી નીકળ્યો છે.

શામળપુરના સરપંચ સંગીતાબેન પટેલે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, “ગામમાં સ્ટ્રીટ લાઈટનું બિલ્‌ ભરી દેવાયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાણ કર્યા વગર લાઈટો બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓ એવું કહે છે કે મોબાઈલમાં મેસેજ આવશે તે મુજબ બિલ ભરવું, પરંતુ ગામડાની ભોળી જનતાને મેસેજ ક્યાં અને કેવી રીતે આવે છે તેની કોઈ સમજ પડતી નથી.

વળી લાઈટ કપાયા બાદ ફરી ચાલુ કરાવવા જઈએ તો ગ્રાહકો પાસેથી રૂ.૧૦૦ જેટલી પેનલ્ટી વસૂલવામાં આવે છે, જે અન્યાયી છે. સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાના નામે ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ મીટર તો થોપી દેવાયા છે, પરંતુ તેની સામે પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે.

જો જી.ઈ.બી. દ્વારા ગ્રાહકોને પડતી આ હાલાકી દૂર કરવામાં નહીં આવે તો આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનતા આકરો જવાબ આપશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

સ્થાનિક જનતાની માંગ છે કે, સ્માર્ટ મીટરની સિસ્ટમમાં સુધારો કરવામાં આવે અથવા તો જૂની પદ્ધતિ મુજબ બિલિંગ વ્યવસ્થા રાખવામાં આવે જેથી ખેડૂતો અને સામાન્ય જનતાને અંધારામાં રહેવાનો વારો ન આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.