કોર્ટ આગોતરા જામીન નકારી શકે, પરંતુ સમર્પણનો આદેશ ન આપી શકેઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે અદાલત કોઈ આરોપીની આગોતરા જામીનની અરજી નકારી શકે છે, પરંતુ કોર્ટ પાસે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપવાનો કોઇ અધિકાર નથી.
છેતરપિંડી અને ફોર્જરીના આરોપીની અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ જે બી પારડીવાલા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આ અવલોકન કર્યાં હતાં. ઝારખંડ હાઇકોર્ટે આ આરોપીના આગોતરા જામીનની અરજી નકારી કાઢી હતી અને તેને આત્મસમર્પણ કરીને નિયમિત જામીન માગવા કહ્યું હતું.
ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઇ અદાલત આગોતરા જમીનની અરજીને નકારવા માગે છે તો તે નકારી શકે છે, પરંતુ કોર્ટ પાસે એવું કહેવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી કે અરજદારે હવે આત્મસમર્પણ કરવું જોઈએ. આ કેસમાં જમીન વિવાદ સંબંધિત ફરિયાદમાં આઈપીસીની કલમ ૩૨૩ (ઇજા પહોંચાડવી), ૪૨૦ (છેતરપિંડી), ૪૬૭, ૪૬૮ (ખોટા દસ્તાવેજ બનાવવો), ૪૭૧ (ખોટા દસ્તાવેજનો ઉપયોગ) અને ૧૨૦મ્ સાથે ૩૪ હેઠળ આરોપ દાખલ કરાયા હતાં.
હાઈકોર્ટે આરોપીની બીજી આગોતરા જામીનની અરજી એ કારણે નકારી હતી કે કોઈ નવી સ્થિતિ રજૂ કરવામાં આવી નથી. હાઇકોર્ટે તેના પ્રથમ આદેશને આધારે જ આ બીજી અરજીને નકારી કાઢી હતી. પ્રથમ આદેશમાં હાઇકોર્ટે અરજદારને ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.SS1MS
