મણિપુર હિંસાના અસરગ્રસ્તો માટે કેન્દ્ર સરકારે રૂ.૯૪૭ કરોડનું ભંડોળ મંજૂર કર્યું
ઈમ્ફાલ, મણિપુર સરકારે વંશીય હિંસામાં ઘર વિહોણા થયેલા લોકોને આશરો આપવા માટે શરૂ કરેલા રાહત કેમ્પ્સની કામગીરીમાં કેન્દ્ર સરકારે રૂ.૪૨૪.૩૬ કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
કેન્દ્રિય ગૃહ વિભાગે અસરગ્રસ્તો અને વિસ્થાપિતોને પુનઃસ્થાપિત કરવા રૂ.૫૨૩ કરોડની રકમ ફાળવી છે. રાજ્યમાં સ્થિતિ સુધરી રહી હોવાથી ઘર છોડીને જવા મજબૂર બનેલા લોકો ધીમે-ધીમે પરત ફરી રહ્યા છે.
મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંઘના જણાવ્યા મુજબ, હિંસામાં ઘર છોડનારા વિસ્થાપિતોનું પુનઃવસન અને પુનઃસ્થાપન રાજ્ય સરકારની ટોચતની પ્રાથમિકતા છે. અસરગ્રસ્તો માટે કાયમી આવાસના નિર્માણમાં કેન્દ્ર સરકાર સહાય કરી રહી છે અને હિંસામાં સંપત્તિ ગુમાવનારા લોકોને વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.
ક્ષતિગ્રસ્ત બનેલા મકાનોના રીપેરિંગ માટે પણ સરકાર સહાય આપી રહી છે. અગાઉ વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ કામગીરી માટે રૂ.૭૩૪ કરોડની ફાળવણી કરાઈ હતી. મણિપુર કોંગ્રેસના નેતા હરેશ્વર ગોસ્વામીને આરટીઆઈ હેઠળ મળેલી વિગતોમાં ગૃહ વિભાગે જણાવ્યુ હતું કે ૩ મે, ૨૦૨૩થી ૩૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન વંશીય હિંસાના કારણે વિવિધ ગામમાં ૫૮,૮૮૧ લોકોને ઘર છોડવા ફરજ પડી હતી. ૧૦ માર્ચ ૨૦૨૬ની સ્થિતિએ રાજ્યમાં ૧૪૭ રાહત કેમ્પ સક્રિય હતા.
મણિપુર પોલીસ હાઉસ કોર્પાેરેશને ૩,૦૦૦ પ્રી-ફેબ્રિકેટેડ મકાનો બનાવી વિસ્થાપિતોના કામચલાઉ આવાસ બનાવેલા છે. મૃતકોને ચૂકવાયેલા વળતર મુજબ રાજ્યમાં ૨૧૭ મોત થયાં છે. રાજ્યમાં ૭,૮૯૪ કાયમી આવાસ સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને ૨,૬૪૬ મકાનને આંશિક નુકસાન થયેલું છે.SS1MS
