પતિના બીજા લગ્નથી નારાજ પત્નીએ ૪ સંતાનોની હત્યા કરી
આંબેડકરનગર, ઉત્તર પ્રદેશના અકબરપુરના મીરાનપુર મહોલ્લામાં સગી જનેતાએ પોતાના બાળકોને મારી નાખી હોવાની અતિ હૃદયવિદારક ઘટના બની છે. ઘરમાં પથારી પર ચાર બાળકોના લોહીલુહાણ મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે.
ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકોની માતા ઘરમાં ન હતી. પ્રાથમિક માહિતી મુજબ, મરૂઆના રહેવાસી નિયાઝની પત્ની તેના પુત્રો શફીક, સઉદ, ઉમર અને પુત્રી બયાન સાથે મીરાનપુરમાં રહેતી હતી. નિયાઝ છેલ્લા ઘણા વર્ષાેથી સાઉદી અરેબિયામાં નોકરી કરે છે અને તેણે ત્યાં જ કોઈ પાકિસ્તાની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બાબતને લઈને મહિલા સતત માનસિક તણાવમાં રહેતી હતી અને તેણે જ ઈંટથી કૂચીને પહેલા પોતાના ચારેય બાળકોની નિર્મમ હત્યા કરી નાખી. ત્યારબાદ તે બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગઈ હતી.
આંબેડકરનગરના પોલીસ સુપરિનટેન્ડેન્ટે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. મહિલાનો પતિ સાઉદી અરેબિયામાં રહે છે. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.SS1MS
