આકરા ઉનાળામાં શાકભાજીના ભાવ આસમાનેઃ લીંબુ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી
ઉંચા તાપમાનમાં શાકભાજી બળી જતાં ખેડૂતોને પણ માર, અન્ય વસ્તુઓના ભાવ પણ ઉંચકાયા
ધોરાજી, ઉનાળાની આકરી ગરમીની સીધી અસર હવે શાકભાજીના બજારમાં થઈ છે. ઉંચા તાપમાનના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થતાં ગત મહિનાની સરખામણીએ ભાવમાં અંદાજે ૩૦થી પ૦ ટકાનો વધારો નોંધાયો છે. ૪૦થી ૪૪ ડિગ્રી તાપમાનને ધોરાજી પંથક અને રાજકોટ જિલ્લાના ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે.
ખાસ કરીને લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. મહિના પહેલાં ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો મળતા લીંબુ હવે સીધા ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોચી ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલ લગ્ન સિઝન સાથે આકરા તાપમાનને કારણે ઠંડા પીણા, શેરડીના રસ અને અન્ય વાનગીઓમાં લીંબુનો ઉપયોગ વધતા માંગમાં ભારે વધારો થયો છે જેના કારણે ભાવ સતત ઉંચા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં લીંબુના ભાવ રૂ.૩૦૦ને પણ પાર કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. માવઠા જેવી આકાશી આફતોનો સામનો કર્યા બાદ ખેડૂતોએ મોંઘા બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ કરીને શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હાલમાં પડી રહેલા અÂગ્ન સમાન તાપમાનને કારણે પાક બળી જતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ગરમી અને ઉત્પાદન ઘટતા બજારમાં મોંઘવારીનો માર વધ્યો છે જેના કારણે સામાન્ય નાગરિકો પર પણ ભાર વધતો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારે ગરમી અને મોંઘવારીના કારણે શાકભાજી સાથે ફરસાણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ગાંઠિયાનો ભાવ રૂ.૩૦૦થી ૪૦૦ હતો તે હવે પ૦૦થી ૬૦૦ સુધી પહોંચી ગયો છે.
ફરસાણના વેપારીઓ એવું જણાવે છે કે અમારે ગરમ ગાંઠિયામાં તેલનો ભાવ વધારો છે તેમજ ચટણી સંભારો આપવાનો થતો હોય તેનો પણ ભાવ વધારે હોય છે. એટલે નાછૂટકે અમારે ભાવ વધારો કરવો પડયો છે.
