રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ‘ગ્રામ કલ્યાણ’ માટે ટ્રેન પ્રવાસ: અમદાવાદથી ભરૂચ સુધીની સફર
ગ્રામ કલ્યાણ કાર્યક્રમના બે દિવસીય પ્રવાસ અર્થે રાજ્યપાલશ્રી ટ્રેન દ્વારા અમદાવાદથી ભરૂચ પહોંચ્યા
અમદાવાદ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પોતાની સાદગી અને જનસેવાના કાર્યો માટે જાણીતા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપવામાં આવેલા આર્થિક આત્મરક્ષાના મંત્રને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભરૂચ જિલ્લાના બે દિવસીય પ્રવાસે જવા માટે એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેન મારફત મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન રાજ્યપાલશ્રીએ સહમુસાફરો સાથે સહજ સંવાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બે દિવસીય કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થઈ સ્વચ્છતા, વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, ગ્રામીણ વિકાસ, પ્રાકૃતિક કૃષિ, શિક્ષણ, વ્યસન મુક્તિ જેવા વિષયો પર ગ્રામજનોને માર્ગદર્શન આપશે.
