Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય -તમામ હાઈકોર્ટ પેન્ડિંગ કેસોના ત્રણ મહિનામાં ચુકાદા આપે

લોકોને વહેલો ન્યાય મળે તે હેતુથી સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટ માટે કેટલાક કડક અને બંધનકર્તા દિશા-નિર્દેશો જાહેર કર્યા

નવી દિલ્હી, દેશની તમામ હાઈકોર્ટ દ્વારા ચુકાદાઓ સંભળાવવામાં થઈ રહેલા લાંબા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ પોતાની વિશેષાધિકાર શક્તિઓનો ઉપયોગ કરતા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ મામલાઓનો નિકાલ વહેલામાં વહેલી તકે થવો જોઈએ.

જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે તમામ હાઈકોર્ટને અનામત રાખેલા કે પેન્ડિંગ ચુકાદાઓ ત્રણ મહિનાની અંદર સંભળાવી દેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે, કોઈપણ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ, તેનો ચુકાદો મહત્તમ ત્રણ મહિનાની અંદર સંભળાવી દેવો. જો કોઈ કારણસર આમ ન થાય, તો પક્ષકાર પાસે અરજી કરવાનો વિકલ્પ રહેશે.

જામીન સંબંધિત આદેશો તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે સંભળાવવામાં આવે. તેમજ તમામ ચુકાદાઓ સંભળાવ્યાના ૨૪ કલાકની અંદર હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર ફરજિયાતપણે અપલોડ થવા જોઈએ. આ ઉપરાંત જે વિચારાધીન કેદીઓને જામીન મળી ગયા છે, તેમને ઔપચારિકતાઓ પૂર્ણ કરીને તે જ દિવસે મુક્ત કરવામાં આવે.

દેશની સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતોને પણ નિયમિત જામીન આદેશોની તાત્કાલિક જાણ સંબંધિત સત્તાવાળાઓને કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, ચુકાદાનો મુખ્ય ભાગ જે તારીખે સંભળાવવામાં આવશે, તે જ તારીખને ‘ચુકાદો સંભળાવ્યાની તારીખ’ ગણવામાં આવશે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે, હાઈકોર્ટ એ આપણી ન્યાય પ્રણાલીની પ્રાથમિક અને મહત્વપૂર્ણ સંસ્થાઓ છે, જ્યાં દરરોજ હજારો લોકો ન્યાયની આશાએ આવે છે,

આથી સમયસર નિર્ણય આપવો અત્યંત આવશ્યક છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગદર્શિકા કે નિર્દેશો કોઈપણ ન્યાયાધીશ કે સંસ્થા પર લાંછન લગાવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડ હાઈકોર્ટના ચુકાદાઓમાં થઈ રહેલા વિલંબ અંગે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનયી છે કે, ભારતીય બંધારણનો અનુચ્છેદ ૧૪૨(૧) સુપ્રીમ કોર્ટને એવો વિશેષાધિકાર આપે છે કે તે પોતાની સમક્ષ પેન્ડિંગ કોઈપણ કેસ કે વિષયમાં ‘સંપૂર્ણ ન્યાય’ કરવા માટે કોઈપણ જરૂરી આદેશ કે નિર્દેશ જારી કરી શકે છે. ભલે વર્તમાન કાયદા કે પ્રક્રિયા સંબંધિત નિયમોમાં તે અંગે કોઈ વિશેષ જોગવાઈ ન હોય, તો પણ સુપ્રીમ કોર્ટ ન્યાયના હિતમાં આ શક્તિનો ઉપયોગ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટનો આ મોટો આદેશ એક અરજી પર સુનાવણી દરમિયાન આવ્યો છે. અરજીકર્તાઓએ ફરિયાદ કરી હતી કે ઝારખંડ હાઇકોર્ટે તેમની ફોજદારી અપીલ પર અંતિમ ચર્ચા સાંભળ્યા પછી પણ છેલ્લા ૨થી ૩ વર્ષથી ફેંસલો સુરક્ષિત રાખ્યો છે અને કોઈ નિર્ણય આપવામાં આવી રહ્યો નથી.

આ ગંભીર ફરિયાદ બાદ ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ મામલાનો વ્યાપ વધારીને દેશની તમામ હાઇકોર્ટ પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો કે કઈ કોર્ટમાં કેટલા સમયથી ફેંસલા સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ આ કડક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. દેશની તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ગાઇડલાઇન્સ પોતાના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવા આદેશ અપાયો છે.

અદાલતોમાં ચુકાદાઓ ઓનલાઇન અપલોડ કરવામાં થતા અતિશય વિલંબને જોતાં સુપ્રીમ કોર્ટે કડક જોગવાઈ કરી છે. જો કોઈ જજ ૩ મહિનામાં સુરક્ષિત રાખેલો ફેંસલો નહીં સંભળાવે, તો રજિસ્ટ્રાર જનરલ આ મામલો હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે મૂકશે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વધુમાં વધુ ૨ અઠવાડિયાનો સમય આપી શકશે અને જો ત્યારપછી પણ નિર્ણય નહીં આવે તો એ કેસ સુનાવણી માટે બીજી બેન્ચને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.