યુએન સલામતી સમિતિમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવા બદલ ભારતે પાક.ની ઝાટકણી કાઢી
પાકિસ્તાન હાલમાં વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિના બિન-સ્થાયી સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ નિભાવી રહ્યું છે
યુનાઇટેડ નેશન્સ, ચીન અનૈ પાકિસ્તાન દ્વારા આયોજિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠકમાં જમ્મુ-કાશ્મીર અંગે કરવામાં આવેલી અનાવશ્યક ટિપ્પણીઓ બદલ ભારતે આકરા શબ્દોમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી અને દૃઢ પુનરોચ્ચાર કર્યાે હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર ભારતનો “સંપૂર્ણપણે આંતરિક” વિષય છેસંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરિશે મંગળવારે સુરક્ષા પરિષદની ‘બ્રિજિંગ ધ ઇમ્પ્લિમેન્ટેશન ગૅપઃ સિક્યુરિટી કાઉન્સિલ રિઝોલ્યુશન્સ એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી’ વિષયક ફોર્મ્યુલા બેઠકમાં પાતિસ્તાનની નિંદા કરતું નિવેદન આપ્યું હતું.
હરીશે કહ્યું હતું કે, “હું પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી અનાવશ્યક ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કરું છું. આશ્ચર્યજનક છે કે સહ-અધ્યક્ષ તરીકે નિષ્પક્ષ અને સંતુલિત રહેવાની અપેક્ષા રાખવામાં આવતી વ્યક્તિએ આ મંચને રાજકીય બનાવવાનું પસંદ કર્યું છે”. તેમણે વધુમાં કહ્યું હતું કે, “સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું માત્ર એટલું જ ભારપૂર્વક કહેવા માગું છું કે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક વિષય છે.
તે હંમેશાં ભારતનો ભાગ રહ્યું છે, હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.” હરીશની આ ટિપ્પણી પછી આવી હતી જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદે બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠક સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન અને ચીનના સ્થાયી મિશનો દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પાકિસ્તાન હાલમાં વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિના બિન-સ્થાયી સભ્ય તરીકે બે વર્ષનો કાર્યકાળ નિભાવી રહ્યું છે.
ભારત દૃઢતાપૂર્વક પોતાનો દાવો રજૂ કરે છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો દેશનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશાં રહેશે. જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી તણાવપૂર્ણ રહ્યા છે. નવી દિલ્હી સતત કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને નકારી કાઢે છે અને જમ્મુ-કાશ્મીરને ભારતનો આંતરિક વિષય ગણાવે છે.SS1
