ઝાલોદમાં લગ્નના બે જ દિવસમાં ‘લૂટેરી દુલ્હન’ ૨.૪૦ લાખ લઈને ફરાર
મધ્યપ્રદેશમાં કરાવ્યા હતા લગ્ન
ઝાલોદ પોલીસે યુવતી સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી
દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં લગ્નના નામે છેતરપીંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશની એક યુવતીએ ઝાલોદના યુવક સાથે લગ્ન કર્યા બાદ માત્ર બે દિવસમાં જ ૨.૪૦ લાખ લઈને ફરાર થઈ જતાં સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ મામલે ઝાલોદ પોલીસે યુવતી સહિત કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
ઝાલોદની પંચાલ સોસાયટીમાં રહેતા હિતેશકુમાર પરસોત્તમદાસ પંચાલને લગ્ન કરાવી આપવાના બહાને કૃષ્ણકાંત ઉર્ફે કિશનભાઈ રમણલાલ પટેલ (રહે. રણીયાર, તા. ઝાલોદ), બાબુલાલ રમણભાઈ પાટીદાર અને તરુણભાઈ (બંને મધ્યપ્રદેશ)એ સંપર્ક કર્યાે હતો. ત્યારબાદ મધ્યપ્રદેશના પટેલપુરા ગામે રહેતી મમતાબેન પ્રેમસિંહ ચૌહાણ સાથે લગ્ન કરાવવાની વાત નક્કી કરવામાં આવી હતી.લગ્ન કરાવી આપવાના બદલામાં ચારેય આરોપીઓએ હિતેશકુમાર પાસેથી ¹ ૨.૪૦ લાખ લીધા હતા.
ત્યારબાદ ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મધ્યપ્રદેશમાં સાદાઈથી લગ્ન કરાવવામાં આવ્યા હતા.લગ્ન બાદ હિતેશકુમાર પોતાની પત્નીને લઈને ઝાલોદ પરત આવ્યા હતા. જોકે લગ્નના માત્ર બે દિવસ બાદ મમતાબેનના પરિવાર તરફથી અકસ્માતનું બહાનું બનાવી તાત્કાલિક મધ્યપ્રદેશ આવવા ફોન કરવામાં આવ્યો હતો. મમતાબેન ગયા પછી અનેકવાર પત્ની તેમજ તેના પરિવારજનો અને દલાલોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તમામના મોબાઇલ બંધ આવતા પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું જણાયું હતું. SS1
