હિંમતનગરના સુંદરગઢ નજીક પાર્ક કરેલી કારમાંથી તબીબનો મૃતદેહ મળ્યો
એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
મૃતદેહને હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો. ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા
હિંમતનગર, હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલા સુંદરગઢ નજીક રોડની સાઈડે કારમાંથી તબીબનો મૃતદેહ મળ્યો હતો. જેને લઈને હિંમતનગર એ ડિવિઝન પોલીસે સ્થળ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરથી ખેડ તસીયા રોડ પર આવેલા સુંદરગઢ ગામ નજીક રોડની સાઈડે પાર્ક કરેલી બેલનો કારમાં શનિવારે રાત્રે એક યુવાન સીટમાં પડેલો હતો. જેને લઈને ૧૦૮ને જાણ કરતા ટીમ સ્થળ પર આવી હતી.
તપાસ કર્યા બાદ મૃત હોવાને લઈને ૧૧૨ને જાણ કરી હતી. આથી ૧૧૨ બાદ હિંમતનગર એ ડિવિઝન PI સ્ટાફ સાથે સ્થળ પર આવી પહોચ્યા હતા અને કારમાં તપાસ કરી હતી. બીજી તરફ મૃતદેહને હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો. ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તપાસમાં આ મૃતદેહ હિંમતનગર ખેડ તસીયા રોડ પર આવેલી લક્ષ્મી પાર્ટી પ્લોટ પાસેની શ્રીજી સોસાયટીમાં ૨૦ નંબરના મકાનમાં રહેતા ડૉ.હાર્દિકભાઈ પંકજભાઈ રાવલનો હોવાનું સામે આવ્યું હતું.
હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સિવિલ હોસ્પિટલથી વર્ધી નોધાવી હતી જેને લઈને રવિવારે સવારે પોલીસે સિવિલ હોસ્પિટલમાં પહોંચી કાર્યવાહી કર્યા બાદ પીએમ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.SS1
