શું હવે નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ થઈ ગયો છે?
(એજન્સી)લંડન, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. નીરવ મોદી પોતાની છેલ્લી કાનૂની લડાઈ પણ હારી ગયો છે. તેણે યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સમાં દાખલ કરેલી અપીલથી પણ તેને કોઈ રાહત મળી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે નીરવ મોદી પાસે કોઈ કાનૂની વિકલ્પ નથી બચ્યો. આવી સ્થિતિમાં બ્રિટન સરકાર પ્રત્યાર્પણની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ભારત મોકલી શકે છે.
નીરવ મોદીએ એપ્રિલ ૨૦૨૬માં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સનો દરવાજો ખખડાવ્યો હતો. તે પહેલાં બ્રિટનની તમામ અદાલતોએ તેની તમામ અપીલો ફગાવી દીધી હતી.
અદાલતે માન્યું હતું કે, ભારત દ્વારા જેલની વ્યવસ્થા અને તેની સાથે કરવામાં આવનારા વર્તન અંગે આપવામાં આવેલા આશ્વાસન પૂરતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે પ્રત્યાર્પણમાં કોઈ કાનૂની અડચણ બાકી નથી રહી અને બ્રિટનની એજન્સીઓએ નીરવ મોદીને ભારતને સોંપવાની વહીવટી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી માર્ચ ૨૦૧૯થી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પંજાબ નેશનલ બેંક સાથે જોડાયેલા કરોડો રૂપિયાના કથિત બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં તેને ભારત લાવવાની માગ કરી છે.
