નિર્ભયાના ગુનેગારોને 20 માર્ચે અપાશે ફાંસી: નવું ડેથ વોરંટ જાહેર
નવી દિલ્હી, નિર્ભયાના ગુનેગારોને 20 માર્ચની સવારે 5.30 વાગ્યે ફાંસી આપી દેવામાં આવશે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે નવું ડેથ વોરંટ જાહેર કર્યું. દોષિતો પાસે તમામ કાનૂની વિકલ્પ પૂર્ણ થઈ ચૂક્યા છે. નવું ડેથ વોરંટ જાહેર થવા પર નિર્ભયાના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી. ચોથીવાર ડેથ વોરંટ જાહેર થવા પર નિર્ભયાની માતાએ કહ્યું કે, આજે ફરી નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું, કારણ કે તેમન તમામ કાનૂની વિકલ્પ પૂર્ણ થઈ ચૂક્યા છે. ચોથીવાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. મને આશા છે કે આ ડેથ વોરંટ ફાઈનલ હશે. આ દિવસે જ ગુન્હેગારોને ફાંસી આપવામાં આવે. નિર્ભયાને ન્યાય મળે. દરેક બાબતનો અંત હોય છે. તેમના કાનૂની વિકલ્પનો અંત આવી ગયો છે. અત્યાર સુધી તેમની ફાંસી થતી નહોતી. અમે દરેક પળ લડત માટે તૈયાર છીએ.
આ અગાઉ નિર્ભયાના ગુન્હેગાર પવને પોતાનો અંતિમ કાનૂની વિકલ્પ ઉપયોગ કરી અરજી કરી હતી. આ અરજીના લીધે કોર્ટે ત્રીજા ડેથ વોરંટને નિરસ્ત કર્યું હતું. તે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દયા અરજી ફગાવી દીધી હતી. આ દયા અરજી ફગાવ્યા બાદ આજે કોર્ટે ચોથું ડેથ વોરંટ જાહેર કરી દીધું છે. નિયમો મુજબ દયા અરજી ફગાવ્યા બાદ દોષિતોને ફાંસી પર લટકાવતા પહેલા 14 દિવસનો સમય મળે છે. આ કારણે ફાંસીની તારીખ 20 માર્ચ નક્કી કરવામાં આવી.