Western Times News

Gujarati News

દેશના કુલ સોલાર રૂફટોપ પ્લાન્ટના ૬૪ ટકા : બે તૃતીયાંશ પ્લાન્ટસ એકલા ગુજરાતમાં

તા. ર માર્ચ-૨૦૨૦ સુધીમાં દેશમાં ૭૯૯૫૦ સોલાર રૂફટોપ – ગુજરાતમાં ૫૦૯૧૫

‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના અન્વયે રાજ્યમાં ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકો આવરી લેવાશે

ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ- ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં ૫૦૯૧૫ ઘરવપરાશની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે અને ૧૭૭.૬૭  મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.

સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવીનીકરણ ઊર્જા મંત્રી આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.        તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સિસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં ૬૪ ટકા એટલે કે બે તૃતીયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.

દેશભરમાં સોલાર રૂફટોપ માટે ૭૯૯૫૦ ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમ્યાન કુલ ૩૨૨  મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકીય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે ૫૫૩૧ સોલાર રૂફટોપ સિસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર સોલાર એનર્જી-સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાતને ક્લીન ગ્રીન એનર્જીનું હબ બનાવવા પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઊર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં ૨૦૨૨ સુધીમાં ૧ લાખ ૭પ હજાર મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે.

વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવા ગુજરાત લીડ લેવા સજ્જ છે.  રાજ્યમાં ઘરવપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યમંત્રીએ ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને ૨૦૨૨ સુધીમાં ૮ લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના ૪૦ ટકા તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦ ટકા સબસિડી સરકાર આપે છે. આ હેતુસર રાજ્યના ૨૦૨૦-૨૧ના તાજેતરના બજેટમાં પણ ૯૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.

આવી સોલાર રૂફટોપ સિસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. ૨.૨૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘‘સૂર્ય ગુજરાત’’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે ૧.૧૮ લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.