Western Times News

Gujarati News

અમદાવાદમાં  સરકારી કર્મચારીઓ માટે ૩૧૨ બહુમાળી આવાસોનું લોકાર્પણ

પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાકિય કામોમાં સહયોગ આપણું કર્તવ્ય -નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

અમદાવાદ, નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યની વિવિધ સરકારી કચેરીઓના નવીનીકરણ સાથે અધતન સુવિધાઓ પૂરી પાડી અધિકારી- કર્મચારીઓને  કામ કરવા માટે વધુ સારું વાતાવરણ  માર્ગ મકાન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે તેજ રીતે તેમના પરિવારો સાથે રહી શકે તે માટે સુવિધાયુક્ત  આવાસો બનાવવાની માર્ગ મકાન વિભાગની નેમ સાકાર થઈ રહી છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર,મેમનગર તથા ગુલબાઇ ટેકરા, અમદાવાદ ખાતે રાજ્ય સરકારના અધિકારી – કર્મચારી માટે  રૂ.૯૮ કરોડના ખર્ચે નિર્મિત  ‘ઇ ‘, ‘ડી’, ‘ સી ‘ કક્ષાના ૩૧૨ બહુમાળી આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું અને ફળવાયેલ લાભાર્થીને આવાસ લોકાર્પણના પત્રો આપી આવાસની ફાળવણી કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સરકારમાં સતત ભરતી થઈ રહી છે અને સરકારી કર્મચારી – અધિકારીઓ રાજ્ય સરકારના વિકાસ માટે સતત કામ કરતા હોય છે ત્યારે તેમના પરિવારો સાથે સારી રીતે રહી શકે તે માટે રાજ્યના તમામ નગરોમાં સરકારી આવાસો બનાવવામાં આવી રહ્યા છે અને આ માટે અંદાજ પત્રમાં જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રજાકીય અને સેવાકીય કામો વધુને વધુ કરી રહી છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાકિય કામોને આપણું કર્તવ્ય સમજી સહયોગ આપવો જોઈએ. પર્યાવરણની જાળવણી માટે રોડ સાઇડની ફાજલ જમીનો,પડતર જમીનોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા તેમણે જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગર પાલિકાના મેયર શ્રીમતી બીજલબેન પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે પ્રજાને જરૂરી સુવિધાઓ આપવાનું કામ આ સરકાર કરી રહી છે.અમદાવાદ મહાનગર પાલિકાના ‘મીશન મીલીયન ટ્રી ‘ના અભિયાનમાં વૃક્ષો વાવવામાં જોડાવા તથા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પ્રધાનમંત્રીશ્રીના પર્યાવરણ અને સ્વચ્છ અભિયાનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહે જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રજાલક્ષી લોકહિતના કામોને હંમેશા અગ્રતા આપી રહી છે જેને લઇ અમદાવાદમાં સગવડો વધી રહી છે અને ઉતરોતર વિકાસ થઈ રહ્યો છે.

મુખ્ય ઇજનેર શ્રી કે.એમ.પટેલે જણાવ્યું કે સરકારી અધિકારી – કર્મચારી માટેના  ૬૧૬ આવાસો પૂર્ણ થયા છે અને ૪૧૬ પ્રગતિમાં છે.આમ કુલ ૧૦૩૨ આવાસો આ કોલોનીમાં ઉપલ્બધ થશે.આ આવાસોમાં ફાયર ફાયટર,ભૂકંપપ્રૂફ, લિફ્ટ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી સંદિપભાઈ વસાવા,કૉર્પોરેટર શ્રીમતી દિપ્તીબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.