Western Times News

Gujarati News

નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન : ખેડૂતોની પરિસ્થિતિ ગંભીર

અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક પાણી કાંઠા વિસ્તારના ખેતરોમાં ઘુસી રહ્યા છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે પૂરના પાણીનો ભરાવો થઈ રહ્યો છે. કાંઠા વિસ્તારના લગભગ નાના વાસણા થી લઇ મુલદ ગામ સુધીના તમામ ખેતરોમાં પાણીનો ભયંકર ભરાવો થઈ રહ્યો છે જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.

છેલ્લા ત્રણ દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેથી લાખો ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રીટ માં છોડાઈ રહ્યું છે જેના કારણે નર્મદા નદીમાં ભયંકર પુર ની પરિસ્થિતિ નિર્માણ પામી છે.નર્મદા જીલ્લાના કેવડિયા થી લઈ ઝઘડિયાના નાના વાસણા,ભાલોદ,અવિધા,ઝઘડીયા, રાણીપુરા,ઉચેડીયા અને મુલદ ના કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી ઘુસી ગયા છે.નર્મદાની સપાટી ગોલ્ડન બ્રિજ ભરૂચ ખાતે હાલમાં ૩૪ ફૂટ જેટલી થઈ છે.ત્યારે કાંઠા વિસ્તારની લગભગ બધી જ સીમો માં પાણીનો ખૂબ મોટા પાયે ભરાવો થયો છે.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમ નર્મદા કિનારેથી બે કિલોમીટર દૂર હોવા પછી પણ ત્યાં ખેતરોમાં ૬ ફૂટથી વધુ પાણી ૨૦૦ એકરથી વધુ જમીનમાં ભરાઈ ગયા છે.પાણી ભરાવાના સાથે સાથે ઊચેડીયાની ખાડી અને નર્મદાના કિનારાની જમીનોનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થશે તેવી ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.ગત રોજથી પાણી ભરાવાના કારણે સીમો માં તૈયાર પાકને પણ મોટું નુકસાન થશે.નર્મદા કાંઠા વિસ્તારમાં મુખ્યત્વે કેળ, શેરડી અને કપાસના પાક થતાં હોય છે

ત્યારે હાલમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોનો તૈયાર માલ પણ બગડી રહ્યો છે.જેથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન હાલના સમયે થઈ રહયુ છે.ગત ચોમાસાની સીઝનમાં પણ ભયંકર પૂરના કારણે ખેડૂત મોટા નુકસાનમાં ઉતર્યો હતો.ત્યાર બાદ એપ્રિલ માસ થી કોરોના મહામારી ના કારણે ખેડૂતોએ ઉત્પાદિત કરેલ માલનો યોગ્ય બજાર નહીં મળતા તેની પણ માઠી અસર થઈ હતી.માંડ માંડ મહામારી માંથી નીકળ્યા તો ખેડૂતને નર્મદા નદીમાં આવેલા પુરે તદ્દન પાયમાલ કરી નાખ્યા જેવી પરિસ્થિતિ ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.