મહીસાગર જિલ્લાના તાંતરોલી અને ઘોડિયાર બ્રીજનું યુધ્ધના ધોરણે સમારકામ પૂર્ણ
લુણાવાડા: તાજેતરમાં કડાણા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ થતા કડાણા ડેમના માંથી લાખો કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેના કારણે મહીસાગર જિલ્લાના ઘોડીયાર, તાંતરોલી અને હાંડોડ બ્રીજ પાણીમાં ગરકાવ થતાં જિલ્લા તંત્ર દ્રારા સલામતીના ભાગરૂપે નાગરિકોની અવર-જવર અને વાહન વ્યવહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બંધ કરવામાં આવ્યો હતો. પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર દ્રારા તેની ચકાસણી કરી તાંતરોલી અને હાંડોડ બ્રીજ સ્લેબ ક્ષતિગ્રસ્ત જણાતાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.
મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને આરએન્ડબીના અધિકારીઓ-કર્મચારીઓની રાહબરી હેઠળ યુધ્ધના ધોરણે આ ત્રણેય બ્રીજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જે પૈકી તાંતરોલી અને ધોડિયાર બ્રીજનું સમારકામ પૂર્ણ થતાં વાહનવ્યવહાર માટે કાર્યરત કરી દેવામાં આવેલ છે જયારે હાંડોડ બ્રીજનું કામ પણ હાલ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે જે આજે તા. ૧/૯/૨૦૨૦ના રોજ મોડી રાત્રી સુધીમાં પૂર્ણ થઇ જશે અને આજે તા. ૨/૯/૨૦૨૦ના રોજ સવારના ૮-૦૦ કલાકથી જાહેરજનતા અને વાહનવ્યવહાર માટે પૂર્વ કાર્યરત થઇ જશે તેમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.