ઓઢવ :વ્યાજખોરે ૧૦ થી ૧ર ના ટોળા સાથે ફેકટરીમાં ઘુસી વહેપારીને ઢોરમાર માર્યો
કર્મીઓ વહેપારીને છોડાવવા વચ્ચે પડતાં તેમની ઉપર પણ હુમલો : ખોખરામાં નિયમિત વ્યાજ ચુકવતા વહેપારીને જાનથી મારી નાંખવાની ધમકી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી ગયો છે આ પરિસ્થિતિમાં ઓઢવ તથા ખોખરા વિસ્તારમાં બે વ્યાજખોરો સામે ફરિયાદો નોંધાઈ છે જેમાં ઓઢવમાં એક વહેપારીની ઓફિસમાં ૧૦ થી ૧ર લોકો સાથે ઘુસી જઈને વ્યાજખોરે વહેપારીને ઢોરમાર માર્યો હતો તે દરમિયાન કારખાનાના કર્મીઓ વહેપારીને છોડાવવા વચ્ચે પડતાં આ શખ્સોએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો જયારે ખોખરામાં એક અન્ય વહેપારીએ વ્યાજની ચુકવણી કર્યાં છતાં વ્યાજખોરે વધુ રૂપિયા માંગતા વહેપારીએ આપવાની ના પાડી હતી જેના પગલે વ્યાજખોરે જાનથી મારવાની ધમકી આપતા આ અંગે વહેપારીએ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે અરમાનભાઈ ઢોલરીયા નિકોલના રાજહંસ સિનેમાની પાછળ આવેલી જીલ રેસીડેન્સી ખાતે રહે છે અને સહજાનંદ બીઝનેસ પાર્ક રીંગરોડ ઓઢવ ખાતે પોતાનું એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. આઠેક મહિના પહેલા તેમને ધંધામાં રૂપિયાની જરૂર પડતાં શૈલેષભાઈ ગોલાણી (રહે. ડાયમંડ પાર્ક સોસાયટી, મુક્તિધામ પાછળ, નિકોલ) પાસે રૂા.૧ લાખ માંગ્યા હતાં જે શૈલેષભાઈએ તેમને પોતાની શક્તિ ફાયનાન્સ ઓફિસ ખાતેથી ૧૦ ટકાના વ્યાજે આપ્યા હતાં. અરમાનભાઈ વ્યાજ નિયમિત રીતે ચુકવતા હતા
તે દરમિયાન થોડા દિવસ અગાઉ શૈલેષભાઈએ તેમની પાસે એક લાખની મુડી એક સાથે માંગી હતી જેથી શૈલેષભાઈએ થોડા થોડા કરી રકમ પુરી કરવાનું કહયું હતું જેના પગલે બુધવારે બપોરે વ્યાજખોર શૈલેષભાઈ ૧૦ થી ૧ર લોકોનું ટોળુ લઈને વહેપારી અરમાનભાઈની ફેકટરીએ પહોંચ્યા હતા અને તે કંઈ સમજે તે પહેલા તેમની સાથે મારઝુડ કરી હતી તે જાેઈને ફેકટરીના કર્મચારીઓ વહેપારીને બચાવવા માટે દોડી આવ્યા હતા પરંતુ આ ટોળાએ તેમના ઉપર પણ હુમલો કર્યો હતો આ અંગે તેઓએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જયારે ખોખરા વિસ્તારમાં બનેલા બનાવની વિગત એવી છે કે રિતેશભાઈ પ્રજાપતિ રાધે બંગ્લોઝ, ઓશિયા મોલની બાજુમાં, ઓઢવ ખાતે રહે છે અને ખોખરા હાટકેશ્વર રોડ પર દુકાન ધરાવી વહેપાર કરે છે રિતેશભાઈને ધંધામાં જરૂર પડતાં તેમણે તેમની બાજુની દુકાનના વહેપારી અવનીતભાઈ મનહરભાઈ જાેષી (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાન, સર્વોદયનગર અમરાઈવાડી) પાસેથી રૂા.પ લાખ વ્યાજે લીધા હતા જેનું દર મહિને રૂા.૮૦ હજાર વ્યાજ ચુકવતા હતાં તેમણે પાંચ વર્ષ સુધી નિયમિત વ્યાજ ચુકવ્યા છે અવનીતભાઈ વધુ નાણાંની લાલચે તેમની પાસે માંગણી કરતા રહયા હતા
પરંતુ રિતેશભાઈએ રૂપિયા આપવાની ના પાડતાં અવનીતભાઈ અને તેના ભાઈ વિજયભાઈએ તેમને અવારનવાર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.