પ્રેમ અને સ્નેહ માટે પ્રશંસકો અને શુભ ચિંતકોનો આભાર
મુંબઈ: બોલિવુડ એક્ટર સંજય દત્તને ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો થોડા દિવસ પહેલા જ થયો છે. જે બાદ સંજુબાબાના ફેન્સ તેમના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે અને તેઓ જલદી સારા થઈ જાય તેની કામના કરે છે. સંજય દત્તનો પરિવાર ફરી એકવાર મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે અને ફેન્સ પ્રાર્થનાઓ દ્વારા પોઝિટિવિટી પહોંચાડી રહ્યા છે. સંજય દત્તને કેન્સર હોવાનું નિદાન થતાં જ પત્ની માન્યતા બાળકો સાથે દુબઈથી મુંબઈ દોડી આવી હતી. માન્યતા દત્ત લોકડાઉનના કારણે દુબઈમાં ફસાયેલી હતી.
પરંતુ પતિની તબિયત વિશે જાણીને તાત્કાલિક પરત ફરી હતી. સંજુબાબાની મુશ્કેલ ઘડીમાં માન્યતા અડગ ઊભી રહી છે. ત્યારે હવે પતિને કેન્સર હોવાની જાણ થયા બાદ માન્યતાએ પોતાની હાલત વિશે જણાવ્યું છે. માન્યતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લખ્યું, “ક્યારેક-ક્યારેક તમારે માત્ર તમારે શાંત રહેવું પડે છે, કારણકે તમારા મગજ અને દિલ પર શું વિતી રહ્યું છે તે કોઈપણ પ્રકારના શબ્દો વર્ણવી નથી શકતા.” કોઈ પ્રિયજન બીમાર હોય ત્યારે કેટલી પીડા થતી હોય છે તે તો એ પરિસ્થિતિનો સામનો કરી ચૂકેલા લોકો બરાબર સમજે છે.
હાલ માન્યતાની હાલત પણ કંઈક આવી જ છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્તને કેન્સરનં નિદાન થયા બાદ માન્યતાએ એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેણે કહ્યું હતું, “સંજૂને આટલા વર્ષોથી મળેલા રહેલા પ્રેમ અને સ્નેહ માટે પ્રશંસકો અને શુભ ચિંતકોનો આભાર માનું છું. સંજૂએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. દરેક મુશ્કેલ સ્થિતિ પાર કરવા માટે તમારા સ્નેહ અને સહકારે ઘણી હિંમત આપી છે. આ માટે અમે હંમેશા તમારા આભારી રહીશું. અમે ફરી એકવાર પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છીએ.
આશા છે કે, આ વખતે પણ તમારો પ્રેમ અને હૂંફ મળી રહેશે. એક પરિવાર તરીકે અમે આ સ્થિતિનો સામનો હકારાત્મકતાથી કરી રહ્યા છે. અમે ચહેરા પર સ્માઈલ રાખીને અમારા જીવનને સામાન્ય બનાવવાના શક્ય તેટલા તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક લાંબી અને મુશ્કેલ લડાઈ છે, સંજૂ માટે આ કામ આપણે નકારાત્મકતા વિના કરવાનું છે.