Western Times News

Gujarati News

જામકંડરોણા ખાતે સ્વ. વિઠ્ઠલભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રી

જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં.

મુખ્યમંત્રીશ્રી રુપાણીએ કહ્યું હતું કે તેઓ જમીની કાર્યકર હતાં, ખુબ સંઘર્ષ કરી તેઓ લોકપ્રિય નેતા બન્યા હતાં. તેમના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ મોટી ખોટ પડશે. . સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાને મળી તેમણે દુઃખના સમયે સૌ લોકો તેમની સાથે હોવાનો સધિયારો પાઠવ્યો હતો. તેમણે વિશ્વાસ જતાવ્યો હતો કે સ્વ. વિઠ્ઠલભાઈના અધૂરા સ્વપ્નો ને જયેશભાઈ અને તેમની ટીમ પુરા કરશે.

સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને અનેક ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી,  શ્રી ગોરધનભાઈ ઝડફિયા, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનીલ રાણાવાસીયા, સામાજિક અને સહકારીક્ષેત્રના આગેવાનો તેમજ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વ. વિઠ્ઠલભાઈને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.