Western Times News

Gujarati News

કોરોના કાળમાં ૧૭ હજાર કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હતના વિકાસ કામો થયા છે: CM

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:- વિજયભાઇ રૂપાણી

કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસ કૂચ અવિરત રહી છે

અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. ૧૦૭૮ કરોડના ૭ર વિકાસ કામોના ઇ-લોકાર્પણ ઇ-ભૂમિપૂજન સંપન્ન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રૂ. ૯ર કરોડના ર૧ કામોના ઇ-લોકાર્પણ – રૂ. ૯૮૬ કરોડના પ૧ કામોના ઇ-ખાતમૂર્હત : પાછલા રપ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદની આધુનિક કાયાપલટ થઇ છે

કાસયાત્રાની અવિરત કૂચ જારી રાખતાં આ કોરોનાના સમય દરમયાન રાજ્યમાં ૧૭ હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ-ભૂમિપૂજનના વિકાસ કામો-પ્રજાહિત કામો લોકોના ચરણે ધર્યા છે.

તેમણે એમ પણ ઉમેર્યુ કે, એકલા અમદાવાદ મહાનગરમાં જ કોરોનાના સમયમાં રૂ. ર૮પ૭ કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ આંકડાઓ જ દર્શાવે છે કે વિકાસ કામોની તેજ રફતાર છે અને તે સ્વયં પૂરવાર કરે છે કે ગુજરાત આપત્તિ સામે ન ઝૂકયું છે ન રોકાયું છે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરના રૂ. ૧૦૭૮ કરોડના ૭ર વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી વિડીયો કોન્ફરનસ દ્વારા સંપન્ન કર્યા હતા. તદઅનુસાર રૂ. ૯ર કરોડના ઇ-લોકાર્પણ અને રૂ. ૯૮૬ કરોડના ઇ-ખાતમૂર્હત અન્વયે હાઉસીંગ પ્રોજેકટ, વોટર પ્રોજેકટ, અર્બન હેલ્થ સેન્ટર-હોલ નવિનીકરણ, ગાર્ડન, પ્રધાનમંત્રી આવાસ, બ્રિજ પ્રોજેકટ વગેરેનો સમાવેશ થાય છે.

આ અવસરે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ શ્રી અમૂલભાઇ, કમિશનર શ્રી મુકેશકુમાર ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ ૬૦૦ વર્ષ જૂનું અને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સમયની સાથે ચાલીને આધુનિક મહાનગર, વિશ્વકક્ષાના શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે શહેરી સત્તાતંત્રને અભિનંદન આપ્યા હતા.

તેમણે સ્પષ્ટ કહ્યું કે, છેલ્લા રપ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદની આધુનિક કાયાપલટ થઇ છે.  શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની માળખાગત સુવિધા સાથે રિવરફ્રન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ઘન કચરા વર્ગીકરણ અને યોગ્ય નિકાલ વ્યવસ્થા, પર્યાવરણ જાળવણી સહિતના ક્ષેત્રોમાં અમદાવાદ મહાપાલિકાએ સુઆયોજિત વ્યવસ્થાપન કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પર્યાવરણ, પાણી, પ્રકાશ, બધી ચિંતા કરીને જનસુખાકારી વધારી છે. રાજ્યના નગરો-મહાનગરોમાં ઇઝ ઓફ લીવીંગ વ્યાપકપણે સુધારીને શહેરો રહેવાલાયક, માણવાલાયક બનાવ્યા છે. નિવૃત્ત જીવન વિતાવતા અન્ય પ્રાંતના વરિષ્ઠ લોકો પણ એટલે જ અમદાવાદમાં કાયમી વસ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્યના શહેરી વિકાસ વિભાગે પણ અદ્યતન શહેરી વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ પર્યાવરણ જાળવણી વગેરેનું ધ્યાન રાખીને સંતુલિત વિકાસની ચિંતા કરી છે.ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં કામો વિલંબમાં પડતા અને ખાતમૂર્હત થાય પછી વરસો સુધી સ્થિતી ઠેરની ઠેર રહેતી પથરા એમને એમ પડયા રહેતા તેવી સ્થિતી હતી તેવી મુખ્યમંત્રીશ્રીએ ટિપ્પણી કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અંગે કહ્યું કે, આવા વિલંબથી કામો થતા નહિ, જે બજેટ કામ માટે ફાળવ્યું હોય તેમાં પણ ચાર ગણો-પાંચ ગણો વધારો વિલંબના કારણે થઇ જતો. ભારતીય જનતા પાર્ટીએ સમયબદ્ધ, ગુણવત્તાયુકત અને સમય કરતા વહેલા કામો પૂરાં કરવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી છે. જેના ભૂમિપૂજન અમે કરીયે તેના લોકાર્પણ અમે જ કરીએ એવો અમારો મંત્ર છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, નગરો-મહાનગરોના વિકાસ કામો માટે સરકાર કયારેય નાણાંની કમી ઊભી થવા દેતી નથી. ‘‘તમે કામ લાવો, પૈસાની ચિંતા રાજ્ય સરકાર કરશે’’ એમ પણ તેમણે ઉમેર્યુ હતું. આ સરકારે શહેરી વિકાસનું હજારો-કરોડોનું બજેટ ફાળવીને ૪પ ટકા શહેરી વસ્તીને સમયસર વિકાસ કામો મળે તેવી ખેવના રાખી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોના સત્તાવાહકોને આહવાન કર્યુ કે રસ્તા, પાણી, ગટર, જેવી પ્રાથમિક સુવિધાઓ હવે સંપૂર્ણત: પૂર્ણ થાય  અને સમયાનુકુલ આધુનિક વિકાસના કામો, નવા પડકારોને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ થાય તેવા કામો માટે તેઓ સજ્જ બને.

તેમણે કોરોના સંક્રમણ દરમ્યાન અમદાવાદ મહાપાલિકાએ એસ.વી.પી. હોસ્પિટલ, ધનવંતરી રથ, ૧૦૪ હેલ્પલાઇનની જે સુદ્રઢ વ્યવસ્થાઓ શરૂ કરી સંક્રમણ નિયંત્રણમાં ઉલ્લેખનીય કામગીરી કરી છે તેની પ્રસંશા-સરાહના કરી હતી.       મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેકટ સાબરમતી રિવરફ્રન્ટને કારણે હેરિટેજ સિટી અમદાવાદની જે વિશ્વ ઓળખ ઊભી થઇ છે તેને આધુનિક શહેર અને સ્લમ રિડેવલપમેન્ટ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, પ્રદૂષણ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેને પ્રાયોરિટી આપી વધુ ઉજ્જવળ બનાવવા અનુરોધ કર્યો હતો.

તેમણે સરદાર વલ્લભભાઇ પટેલે અમદાવાદના મેયર તરીકે આપેલી સેવાઓનું સ્મરણ કરતા મહાત્મા ગાંધીજીના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લોકહિત કામો માટે વધુ પ્રેરિત કરવાના સપના પાર પાડવા પણ પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરીને આવાસ મળવાથી તેમના પારિવારીક જીવનમાં આવેલા પરિવર્તન અને સુખની લાગણી જાણી હતી.અમદાવાદ મહાનગરમાં આ વિકાસ કામોના સ્થળોએ સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી, એચ. એસ. પટેલ, અમદાવાદ શહેર-જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.