મહિલાને ફેફસામાં ૯૬ ટકા અસર છતાં કોરોનાને હરાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona-10.jpg)
ડોક્ટર્સ-હોસ્પિટલ કર્મચારીઓ સતત હિંમત આપતા રહ્યા, તેને લીધે દર્દી રક્ષાબેન સતત પોઝિટિવ વિચારતા રહ્યા
અમદાવાદ: કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરનો કહેર વર્તાવ્યો છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારે સૂત્ર આપ્યું છેકે, હારશે કોરોના, જીતશે ગુજરાત. સરકાર સતત એ દિશામાં કામગીરી કરી રહી છે. જાેકે, કેટલાંક દર્દીઓએ કોરોનાનો જંગ લડવામાં જે હિમ્મત બતાવી છે તેના કારણે જ કોરોનાને હરાવી શકાય છે. ગોધરાના રક્ષાબહેનની કહાની પણ જાણવા જેવી છે. ૧૮ દિવસની સઘન સારવાર બાદ કોરોનાને હરાવીને રક્ષાબેન પોતાના ઘરે હેમખેમ પર પહોંચ્યાં. તસવીરમાં આપ જાેઈ શકો છો
હિમ્મત રાખશો તો જીતી શકાશે. તેમની મેડિકલ કંડીશનની વાત કરીએ તો એચઆરસીટી સ્કોર ૨૪, ડિ-ડાઈમર ૫૦૦૦, ફેરેટીન ૨૦૦૦થી વધુ હતા, તેમ છતાં ડોક્ટર્સ અને હોસ્પિટલ કર્મચારીઓએ સતત હિંમત આપતા રહ્યા. તેને કારણે રક્ષાબેન પણ સતત પોઝિટિવ વિચારતા રહ્યાં.
કુદરત પર ભરોસો રાખ્યો, હિમ્મત રાખી અને કોરોના પર જીત હાંસલ કરી. કોરોનાની સ્થિતિમાં એચઆરસીટી ટેસ્ટમાં સ્કોર સહેજ વધુ આવે તો ઘણાં લોકો તુરંત જ ગભરાઈ જાય છે. જાે કે આ સ્કોર વધુ હોવા છતાં સમય પર યોગ્ય તબીબી સારવાર મળવાથી રિકવરી શક્ય છે.
સંખ્યાબંધ દર્દીઓ તે રીતે સાજા થઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ સરકારી સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન નર્સિંગ સ્કૂલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલ્સમાં પણ આવા દર્દીઓ ડોક્ટર્સની સારવાર, સહાયક સ્ટાફ અને પરિવારજનોની હૂંફથી સાજા થઈ ઘરે જઈ રહ્યા છે.
આવા જ એક પેશન્ટ રક્ષાબેન સુથાર ૧૮ દિવસની સઘન સારવાર બાદ સાજા થઈ આજે પોતાના ઘરે સુરક્ષિત પરત ફર્યા. ફિઝિશિયન ડો. ઈશાન મોદીએ જણાવ્યું કે ગોધરાના ૫૨ વર્ષીય રક્ષાબેન ૧ મે, ૨૦૨૧ના રોજ એડમિટ થયા ત્યારે તેમનો એચઆરસીટી સ્કોર ૨૪ હતો. એસપીઓટુ ૭૦ અને ક્યારેક ૫૦ સુધી ડ્રોપ થતું હતું, સીઆરપી ૧૪૦, ડીડાઈમર ૫૦૦૦ અને ફેરેટીન ૨,૦૦૦ સુધી પહોંચ્યું હતું. એડમિટ કરતા સાથે તેમને પ્રતિ મિનિટ ૧૫ લિટર ઓક્સિજન એનઆરબીએમ પર આપવાનો શરૂ કર્યો હતો. દર્દીની સ્થિતિ ક્રિટીકલ હતી
પરંતુ તેમને માનસિક ધરપત આપી રેમડિસીવર, સ્ટાન્ડર્ડ એન્ટિબાયોટીક, સ્ટેરોઈડ સહિતની દવાઓ- સાથે સારવાર શરૂ કરવામાં આવી હતી. ફિઝિશિયન ડો. ઈશાન મોદીએ વધુમાં જણાવ્યુંકે, અઠવાડિયા સુધી રક્ષાબેનની સ્થિતિ સ્થિર રહ્યાં બાદ સુધાર થવાની શરૂઆત થઈ હતી. હવે ઓક્સિજન સપોર્ટ વગર એસપીઓટુનું લેવલ ૯૪ સુધી જળવાઈ રહ્યું છે. આજે બ્લડ સહિતના રિપોર્ટ નોર્મલ આવતા તેમને રજા આપવામાં આવી છે.