આસ્થા ચૌધરીએ આદિત્ય બેનર્જી સાથે સગાઈ કરી

મુંબઈ, ટીવી એક્ટ્રેસ આસ્થા ચૌધરીને મનનો માણીગર મળી ગયો છે. ૧૦ સપ્ટેમ્બરે આસ્થા ચૌધરીએ આદિત્ય બેનર્જી સાથે સગાઈ કરી છે. આસ્થાનો થનારો પતિ આદિત્ય ડૉક્ટર છે.
કપલની સગાઈ આદિત્યના વતન અલ્હાબાદમાં યોજાઈ હતી. છેલ્લે ટીવી સીરિયલ કેસરી નંદનમાં જાેવા મળેલી એક્ટ્રેસ આસ્થાએ બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં કહ્યું, “આદિત્ય મારા પરિવારને મળ્યો પછી અમે ઓગસ્ટ મહિનામાં જ સગાઈની તારીખ નક્કી કરી હતી. અમે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. ૧૦ સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી) સિવાય કોઈ સારું મુહૂર્ત પણ નહોતું. કમનસીબે મેં મારા સારા મિત્ર સિદ્ધાર્થ શુક્લાને ૨ સપ્ટેમ્બરે ગુમાવ્યો.
સિદ્ધાર્થના મોત બાદ અમે સગાઈ વધારે શોરબકોર વિના કરવાનું નક્કી કર્યું હતું. આટલા દિવસ સુધી મેં સગાઈની કોઈ ચર્ચા ન કરી કે તસવીરો પોસ્ટ ન કરી તેનું કારણ એ જ હતું કે સિદ્ધાર્થના મોત બાદ આમ કરવાનું મને યોગ્ય ના લાગ્યું. સિદ્ધાર્થ શુક્લાનો પહેલો ટીવી શો હતો ‘બાબુલ કા આંગન છૂટે ના અને આસ્થાએ તેમાં સિદ્ધાર્થ સાથે કામ કર્યું હતું.
૨૦૦૮માં શરૂ થયેલી આ સીરિયલ પૂરી થયા પછી પણ સિદ્ધાર્થ અને આસ્થા વચ્ચે મિત્રતા હતી. આસ્થાએ સિદ્ધાર્થને પોતે સગાઈ કરવાની હોવાની વાત જણાવી હતી સાથે જ લગ્નના પ્લાન અંગે પણ ચર્ચા કરી હતી. “હું સિદ્ધાર્થની નજીક હતી.
હકીકતે મારી છેલ્લેથી બીજી વાતચીતમાં હું સગાઈ કરવાની છું એ વાત સિદ્ધાર્થને જણાવી હતી. તે મારા માટે ખુશ હતો. તેણે પોતાના આગવા અંદાજમાં મને કહ્યું હતું- ‘સહી હૈ, હું તારા માટે ખુશ છું. ઘર વસાવી લે.’ આ વાતચીત બાદ મેં છેલ્લે ૧૭ ઓગસ્ટે સિદ્ધાર્થ સાથે વાત કરી હતી.
મને હજી પણ ખૂબ જ દુઃખ છે અને વિશ્વાસ નથી આવતો કે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો”, તેમ આસ્થાએ ઉમેર્યું. દરમિયાન આસ્થાની વાત કરીએ તો, તે ૨૦૨૨ની શરૂઆતમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે. તેણે કહ્યું, “અમે હજી સુધી તારીખ નક્કી નથી કરી પરંતુ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાનો વિચાર છે.” આદિત્ય અને આસ્થાની મુલાકાત જાન્યુઆરી મહિનામાં એક કોમન ફ્રેન્ડે કરાવી હતી.
“અમે એકબીજા સાથે વાતો શરૂ કરી અને કંપની ગમવા લાગી. આદિત્ય કાળજી રાખનારો, દયાળુ અને ડાઉન-ટુ-અર્થ છે અને તેની જ આ બાબતો મને ગમી ગઈ.SSS