લગ્નના વરઘોડામાં આખલો ઘૂસી આવતા જાનૈયાઓમાં દોડધામ

જાનૈયાઓ ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા અને અચાનક જ આખલો ઘૂસી આવ્યો અને 10 ને અડફેટે લીધા,
અમદાવાદના સરખેજ નજીક વણઝર ખાતે જાનૈયાઓ વરરાજાને ઘોડા પર બેસાડીને ડીજેના તાલે ઝૂમતા લગ્ન માટે જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક જ એક આખલો વરઘોડા તરફ ધસી આવ્યો હતો. આ આખલાએ વરઘોડામાં 8થી 10 જાનૈયાઓને અડફેટે લીધા હતા. જો કે, સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ ગીર સોમનાથમાં આખલાએ સિંગડુ મારતા એક વૃદ્ધાનું મોત થયું હતું.
સરખેજમાં જાનૈયાઓને અડફેટે લેવાની અને ગીર સોમનાથમાં વૃદ્ધાના મૃત્યુ મામલે ભાજપ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓએ અગાઉ પણ સીએમને શહેરોમાં રખડતાં ઢોરને શહેર બહાર ખસેડી વસાવવા માટે ચર્ચા કરી હતી. પરંતુ આ સમસ્યાઓ હજી પણ છે ત્યારે તેઓ ફરીથી સીએમને રજૂઆત કરશે. પાટીલે વધુમાં ઉમેર્યું કે, શહેરોમાં જ નહીં, પરંતુ ગામોમાં પણ આ સમસ્યા છે.
અમદાવાદ સહિત આઠેય મહાનગરો અને અન્ય નગરો તેમજ ગામોમાં રખડતાં ઢોરની સમસ્યા અત્યંત ચિંતાજનક રીતે વકરી રહી છે. આ સમસ્યાના નિકાલ માટે અગાઉ વિજય રૂપાણીન સરકારે અમદાવાદ સહિતના મહાનગરોમાંથી ઢોરઢાંખરને શહેરની સીમા બહાર વસાવવા માટે જમીન ફાળવવા સહિતની જાહેર કરેલી યોજનાને તંત્રએ અભરાઈએ ચડાવી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ કે ગીર સોમનાથ જ નહીં, પરંત વલસાડ, બોટાદ, ભાવનગર, રાજકોટ, જામનગર, વાપી, વડોદરા, ખેડા અને આણંદ જેવા વિસ્તારોમાં વિતેલા એક મહિનામાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેમાં સક્રિય પગલાંના અભાવે રોજરોજ નિર્દોષ નાગરિકો રખડતા ઢોરના આતંકનો ભોગ બને છે