Western Times News

Gujarati News

દેશમાં ઓમિક્રોનના નવા ૧૩ કેસ મળી આવ્યા, કુલ કેસ ૮૬ પર પહોંચ્યા

નવીદિલ્હી, દેશમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ૧૩ લોકોમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી. તેમાંથી કર્ણાટકમાંથી ૫, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેલંગાણામાંથી ૪-૪ કેસ છે. આ સાથે દેશમાં ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા વધીને ૮૬ થઈ ગઈ છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૨ કેસ છે. જેમાંથી ૨૫ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. કેન્દ્રીય ગૃહ સચિવે ગુરુવારે ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે સમીક્ષા બેઠક યોજી હતી.

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ‘ઓમિક્રોન’ના અત્યાર સુધીમાં ૧૦ કેસ નોંધાયા છે અને તેમાંથી કોઈની સ્થિતિ “ગંભીર” નથી. તેમણે કહ્યું કે ૪૦ લોકોને શંકાના આધારે લોકનાયક જય પ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ૩૮ કોરોના વાયરસથી સંક્રમિત છે. જૈને મંગળવારે કહ્યું હતું કે ‘ઓમિક્રોન’ના કેસો સ્થિતિ નિયંત્રણમાં છે. ‘ઓમીક્રોન’ના તમામ દર્દીઓની હાલત પણ સ્થિર છે.

કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. સુધાકર કેએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોનના પાંચ કેસની પુષ્ટિ થઈ છે. પાંચેય દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે.

તેલંગાણાના આરોગ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં ચાર લોકોમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. જેમાંથી ત્રણ કેન્યાના અને એક ભારતીય મૂળના છે.

દેશના જુદા જુદા ભાગોમાં ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યાના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિની સમીક્ષા કરી. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ કેન્દ્રશાસિત પ્રદેશોની આરોગ્ય તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.