દિલ્હીમાં ટૂંક સમયમાં કોરોના પ્રતિબંધ હટાવાશે: કેજરીવાલ
નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમની સરકાર નથી ઈચ્છતી કે લોકોની આજીવિકાને અસર થાય, તેથી કોવિડ પ્રતિબંધો વહેલી તકે હળવા કરવામાં આવશે. કેજરીવાલે દિલ્હી સરકારના ગણતંત્ર દિવસ ૨૦૨૨ના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ કહ્યું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
તેમણે કહ્યું, કોવિડને કારણે દિલ્હીના લોકોને સૌથી વધુ નુકસાન થયું છે. અમે નથી ઈચ્છતા કે તમારી આજીવિકા પર અસર પડે પરંતુ તમારું સ્વાસ્થ્ય મહત્વનું છે, તેથી અમારે નિયંત્રણો લાદવા પડ્યા. દિલ્હી સરકારે તાજેતરમાં કોવિડની પરિસ્થિતિમાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને વીકએન્ડ કર્ફ્યુ અને ઓડ-ઇવન સ્કીમને દૂર કરવાની દરખાસ્ત મોકલી હતી, જેને ઉપરાજ્યપાલ દ્વારા નકારવામાં આવી હતી.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે દિલ્હીમાં ૧૦% કોરોના સંક્રમણ દર નોંધવામાં આવશે. ૧૫ જાન્યુઆરીએ દિલ્હીમાં સૌથી વધુ ૩૦% સંક્રમણ દર નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ૧૦ દિવસમાં સંક્રમણનો દર ૨૦% નીચે આવ્યો છે. આ બધું રસીકરણની ઝડપ વધારવાને કારણે થયું છે. દિલ્હીમાં ૧૦૦% લોકોએ પ્રથમ ડોઝ મેળવ્યો છે અને ૮૨% લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે.HS