દિલ્હીના આઈએએસ દંપતીની એકબીજાથી દૂર બદલી કરાઈ
નવી દિલ્હી, દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ડોગ સાથે વોકિંગ મામલે વિવાદમાં ફસાયેલા આઈએએસઅધિકારી સંજીવ ખિરવારની લદ્દાખ ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જ્યારે તેમના પત્ની રિંકૂ દુગ્ગાની બદલી કરીને તેમને અરૂણાચલ પ્રદેશમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
આ બંને રાજ્યો વચ્ચે ૩,૪૬૫ કિમીનું અંતર છે. પહેલા બંનેનું પોસ્ટિંગ દિલ્હીમાં જ હતું. હકીકતે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ટ્રેઈનિંગ આપતા એક કોચ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અગાઉ તેઓ રાતના ૦૮ઃ૦૦-૦૮ઃ૩૦ વાગ્યા સુધી પ્રેક્ટિસ કરાવતા હતા.
હવે તેમને ૭ઃ૦૦ વાગ્યામાં ગ્રાઉન્ડ ખાલી કરી દેવા કહેવામાં આવતું જેથી આઈએએસઅધિકારી સંજીવ ખિરવાર ત્યાં પોતાના પાલતું શ્વાન સાથે ફરી શકે. આ કારણે ખેલાડીઓની ટ્રેઈનિંગ અને પ્રેક્ટિસ રૂટિનમાં અડચણ સર્જાઈ હતી.
આઈએએસ અધિકારી સંજીવ ખિરવારે આ સમગ્ર વિવાદ મામલે પોતાની સ્પષ્ટતા આપી હતી. તેમણે જણાવ્યું કે, મારા કારણે પ્રેક્ટિસ અટકાવી દેવાતી હોવાની વાત પાયાવિહોણી છે. હું કોઈક વખત મારા ડોગ સાથે ટ્રેક પર જઉં છું પરંતુ જ્યારે ખેલાડીઓ ન હોય ત્યારે જ જઉં છું. કદી કોઈ ખેલાડીને સ્ટેડિયમમાંથી બહાર જવા નથી કહ્યું. ડોગને પણ ત્યારે જ ટ્રેક પર છોડું છું જ્યારે ત્યાં કોઈ ન હોય. જાે તે આપત્તિજનક હોય તો તેને બંધ કરી દઉં છું.
આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરના તમામ સરકારી ખેલ કેન્દ્રોને રાતના ૧૦ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્દેશ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ અંગેની જાણકારી આપી હતી.SS2MS