ટેકનોલોજીનો ઉપયોગ વિચારોને બદલવા માટે નહીં પણ સમૃધ્ધ બનાવવા માટે કરવો જોઈએ
AMA દ્રારા ‘નેશનલ મેનેજમેન્ટ ડે’ની ઉજવણી નિમિત્તે ડિપ્લોમા એલ્યુમની મીટનું આયોજન કરાયું
અમદાવાદ, મેનેજમેન્ટ ફેસ્ટ ૨૦૨૬ના ભાગરૂપે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ‘નેશનલ મેનેજમેન્ટ ડે’ની ઉજવણી નિમિત્તે એએમએ ડિપ્લોમા એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. એએમએના પ્રમુખ અને હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી રાજીવ ગાંધીએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “આ મેનેજમેન્ટ ડે પર, આપણે જીવનભર શીખતા રહેવાની ભાવનાની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છીએ.
દરેક જોડાણ એક વાર્તા કહે છે અને દરેક વાતચીત એક નવી શક્યતાને જન્મ આપે છે. એએમએનું એલ્યુમની પ્લેટફોર્મ જીવનભરના સંબંધો કેળવે છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફેકલ્ટી, સાથીદારો અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે.”
મુખ્ય અતિથિ શ્રી રોહિત બંસલ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ હેડ ઓફ કોમ્યુનિકેશન્સ) દ્રારા આ વર્ષની થીમ “ટ્રાન્સફોર્મિંગ ફોર ટુમોરો: ગ્રોથ વિથ રેઝિલિયન્સ”ને અનુરૂપ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમના વ્યાખ્યાન દરમિયાન, શ્રી બંસલે વર્તમાન ટેકનોલોજીકલ પરિવર્તનના બેવડા સ્વભાવ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે,
“આપણે એક પાયાના ટેકનોલોજીકલ ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ જે મૂળભૂત રીતે આપણે એકબીજા સાથે કેવી રીતે કોમ્યુનિકેશન કરીએ છીએ તેને પ્રભાવિત કરે છે. વ્યક્તિઓ, પેઢીઓ અને રાષ્ટ્રો તરીકે સ્પર્ધામાં ટકી રહેવા માટે, આપણે મોટા પાયે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અપનાવવું જ પડશે—પરંતુ આપણે તે સુરક્ષિત રીતે કરવું જોઈએ, જેથી તે આપણા મગજને નિષ્ક્રિય ન બનાવી દે.
આપણું મગજ અન્ય સ્નાયુઓની જેમ જ છે: તેનો ઉપયોગ કરો અથવા તેને ગુમાવો.” શ્રી બંસલે વધુમાં નોંધ્યું હતું કે ‘વિકસિત ભારત’ માટે ભારતને ઉચ્ચ જ્ઞાનાત્મક (કોગ્નિટીવ) અને ભાવનાત્મક (ઈમોશનલ) કૌશલ્યો ધરાવતી આગામી પેઢીની જરૂર છે. શક્તિશાળી ભારતને એવા નાગરિકોની જરૂર છે જેઓ માનસિક રીતે ક્ષતિગ્રસ્ત ન હોય; આને જાળવી રાખવા માટે ધ્યાન (મેડીટેશન) જેવા સાધનો આવશ્યક બનશે.
એઆઈ એ વર્તમાન સમયનું સૌથી મોટું પરિવર્તનકારી બળ છે, જે ઉત્પાદન અને કૃષિથી લઈને આરોગ્ય અને શિક્ષણ સુધીના દરેક ક્ષેત્રને બદલવાની ક્ષમતા ધરાવે છે. જો કે, સ્થાપકોએ હજુ પણ માનવીય તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ટેકનોલોજીનો ઉપયોગ તેમના વિચારોને બદલવા માટે નહીં પણ તેને સમૃધ્ધ બનાવવા માટે કરવો જોઈએ. આપણો ઉદ્દેશ્ય માત્ર એઆઈનો વપરાશ કરવાનો જ નહીં, પરંતુ જવાબદારીપૂર્વક આપણા ભવિષ્યને આકાર આપવાનો હોવો જોઈએ.”
એએમએના ભૂતપૂર્વ પ્રમુખ અને ઈન્વેસ્કો ફિસ્કલ સર્વિસીસના મેનેજિંગ પાર્ટનર શ્રી યતીન્દ્ર શર્માએ ઉમેર્યું હતું કે એએમએ સમુદાય માટે આવી પહેલ મહત્વપૂર્ણ છે. એએમએ આવી મુલાકાતોના આયોજન દ્રારા વ્યાવસાયિક વિકાસ, જ્ઞાન આદાન-પ્રદાન અને સામુદાયિક જોડાણ માટેની તકો પૂરી પાડે છે. એએમએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એએમએની સમૃધ્ધ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરી રહેલ છે.
